Divyang Protest in Gandhinagar: ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 200થી 250 જેટલા દિવ્યાંગ લોકો એકઠા થયા હતા. તેમના દ્વારા સરકાર પાસે 5000 રૂપિયાના પેન્શનની માગણી સાથે સંમેલન કરવામાં આવ્યું. રાજ્યના વિવિધ સંગઠોના હેઠળ ભેગા થયેલા દિવ્યાંગો દ્વારા પોતાની તકલીફો અને મુશ્કેલીઓની રજૂઆતો કરી હતી.
દિવ્યાંગોની મુખ્ય રજૂઆતો
મળતી માહિતી અનુસાર, દિવ્યાંગો દ્વારા રાજ્ય સરકારને અલગ અલગ સંગઠનોના નેજા હેઠળ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. આ સંગઠનોની માગણી છે કે સરકાર તેમનું પેન્શન 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા સુધી કરે. સંત સૂરદાસ યોજનામાં 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને યોજનાનો લાભ મળતો નથી. જેથી 40 ટકાથી 100 ટકા વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવામાં આવે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગાંધીનગરમાં વિધાનસભાના સત્ર ચાલુ થયા બાદ અલગ અલગ સંગઠનો રાષ્ટ્રીય પક્ષો દ્વારા આંદોલન કરવામાં આવ્યા, અગાઉ વિશ્વ મહિલા દિનના દિવસે મહિલાઓની અટકાયત કરાઈ હતી. ત્યારે આજે જ્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિવ્યાંગો એકઠા થયા છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઠાલવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિવ્યાંગો દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી સંમેલન કરવામાં આવ્યું.


