Gujarat

ગ્રીષ્મા વેકરીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત : સુરતની બહેન-દિકરીઓને સ્વરક્ષણ માટે 5000 કટાર વિના મુલ્યે વહેંચવાની જાહેરાત

By GS Team
24 Feb 20223 mins read
This article was originally published on 24 Feb 2022
ગ્રીષ્મા વેકરીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત : સુરતની બહેન-દિકરીઓને સ્વરક્ષણ માટે 5000 કટાર વિના મુલ્યે વહેંચવાની જાહેરાત



- વરાછા-કતારગામના સામાજીક આગેવાન દિનેશ અણઘણ ગુજરાતે સોશ્યિલ મિડીયા પર પોસ્ટ અપલોડ કરીઃ જો કે હજી તારીખ અને સ્થળ જાહેર કર્યુ નથી

સુરત
પાસોદરામાં એક તરફી પ્રેમમાં સરાજાહેર ગળું કાપી ગ્રીષ્મા વેકરીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત રૂપ વરાછા-કતારગામના સામાજીક આગેવાન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દ્વારા સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવોના ટાઇટલ સાથેની એક પોસ્ટ સોશ્યિલ મિડીયા પર અપલોડ કરી સુરતની બહેન-દિકરીઓને સ્વરક્ષણ માટે 5000 કટાર વહેંચવાની જાહેરાત કરી છે.
પાસોદરામાં એક તરફી પ્રેમમાં સરાજાહેર ગળું કાપી ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગ્રીષ્માના ભાઇ અને માતા ઉપરાંત અંદાજે 40થી વધુ લોકોની સામે જે રીતે ફેનિલ ગોયાણીએ અત્યંત ઘાતકી રીતે ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી તે ઘટના કાળજું કંપાવનારી હતી. આ ઘટનાને પગલે શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ, યુવતીઓને સ્વ રક્ષા અભિયાન અંતર્ગત સશ્કત નારી સશ્કત સમાજ માટેની ઝુંબેશ સુરત સિટી પોલીસે શરૂ કરી સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ શાળા-કોલેજમાં શરૂ કરી છે. જયારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અણઘણે સોશ્યિલ મિડીયા પર બહેનોના સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવો...ના ટાઇટલ સાથે એક પોસ્ટ અપલોડ કરી છે. જેમાં જણાવ્યું છે કે હું દિનેશ અણઘણ સોશ્યિલ મિડીયાના માધ્યમથી સુરત મહાનગરની તમામ બહેન-દિકરીઓને જણાવું છું કે ગ્રીષ્મા હત્યા જેવો કેસ ભવિષ્યમાં ન બને તે માટે લુખ્ખા, લફંગા, અસામાજીક તત્વોથી બચવા પોતાના સ્વરક્ષણ માટે સુરત શહેરની બહેન-દિકરીઓને 5000 કટાર (કાયદાના નિયમ મુજબ) વિના મુલ્યે આપવામાં આવશે, પહેલા તબક્કામાં 1000 કટાર 15 દિવસમાં ફાળવવામાં આવશે....તેવી જાહેરાત કરી છે. જો કે કટાર કયારે આપવામાં આવશે તે સમય અને સ્થળની હજી સુધી જાહેરાત કરી નથી. પરંતુ પોસ્ટને વધુને વધુ વાયરલ કરશો જેથી વધારેમાં વધારે બહેન-દિકરીઓ આ કટારનો લાભ લઇ શકે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બહેન-દિકરીના આધારકાર્ડ સાથે બાંહેધરી પત્રક ભરાવાશે, પોલીસને પણ વાકેફ કરાશે
સામાજીક આગેવાન દિનેશ અણઘણે જણાવ્યું હતું કે જે બહેન-દિકરીઓને કટાર આપવામાં આવશે તેમની પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે અને તેમનો આધારકાર્ડ પણ આપવાનો રહેશે. ફોર્મમાં નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, અભ્યાસ સહિતની માહિતી ભરવાની રહેશે. ઉપરાંત બાંહેધરી પણ લેવામાં આવશે કે જો તેઓ લુખ્ખા, લફંગા, અસામાજીક તત્વો અને વિઘર્મીઓની હેરાનગતિથી ભોગ બને અને જરૂર પડે તો જ તેનો ઉપયોગ કરશે. જયારે કટાર મેળવનારની સંપૂર્ણ માહિતી પોલીસ સાથે સંકલન કરી પોલીસ અધિકારીઓ કહેશે તો તેમને પણ માહિતી આપવામાં આવશે.

સરકારી નિતી નિયમ મુજબ કટાર આપવામાં આવશેઃ દિનેશ અણઘણ


સામાજીક આગેવાન દિનેશ અણઘણે જણાવ્યું હતું કે સરકારી નિયમ મુજબ 5થી 6 ઇંચની કટાર આપવામાં આવશે. લુખ્ખા અને અસામાજીક તત્વો તથા વિધર્મીઓથી ત્રસ્ત હોય તો જ ઉપયોગ કરવાનો રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેટલીક ગુજરાતી ફિલ્મો રીયલ સ્ટોરી ઉપર બનાવવામાં આવી છે. ગુજરાતી ફિલ્મની હીરોઇન સ્નેહલતા જયારે પણ લુખ્ખા કે અસામાજીક તત્વો કે ગુંડાઓ વચ્ચે ઘેરાય જતી ત્યારે તેના વાળના અંબડોમાં છુપાવેલી કટાર કાઢી તેમની પર હુમલો કરી સ્વબચાવ કરતી દર્શાવવામાં આવી છે. જેથી બહેન-દિકરીઓ પાસે જો હથિયાર હોય તો તેઓ પ્રતિકાર કરી શકે તે હેતુથી કટાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજસ્થાન અને પંજાબથી કટાર ખરીદવામાં આવશે
સોશ્યિલ મિડીયા થકી વિના મુલ્યે કટાર વહેંચવાની જાહેરાતમાં પ્રથમ પંદર દિવસમાં જ 1000 કટાર આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હજી સુધી સ્થળ અને તારીખ જાહેર કરી નથી. પરંતુ રાજસ્થાન અને પંજાબ ખાતેથી કટાર ખરીદવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જેના માટે કટાર બનાવતી કંપનીઓનો સંર્પક કરવામાં આવી રહ્યો છે.