Gujarat

ભાઇપુરા વોર્ડમાં હાઉસિંગની ચાર વસાહતોમાં ગંદકીના ઢગલા

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
ભાઇપુરા વોર્ડમાં હાઉસિંગની ચાર વસાહતોમાં ગંદકીના ઢગલા

અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવાર

પૂર્વ અમદાવાદમાં ભાઇપુરા વોર્ડમાં ન્યુ કર્ણાવતીનગર, સાગર, સરિતા અને વૃદાવન એપાર્ટમેન્ટમાં સફાઇના અભાવના કારણે એક હજારથી વધુ નાગરીકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. કોર્પોરેશન વેરા ઉઘરાવે છે, કોર્પોરેટરો મત લઇ જાય છે પરંતુ ગટર, પાણી અને સફાઇ જેવા પાયાના પ્રશ્નોના ઉકેલમાં રહીશોને હાથતાળી આપવામાં આવી રહી છે.

ભાઇપુરા વોર્ડમાં આવેલી આ વસાહતો ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. વર્ષો જુની આ વસાહતો જર્જરિત થઇ ગઇ છે. ત્યાં રહેતા લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દૈનિક ધોરણે ગટરો ઉભરાય છે. કચરો ઉપાડવામાં આવતો નથી, સફાઇ કરવામાં આવતી નથી. 

આ અંગે સ્થાનિક અગ્રણી રામનરેશ કોરીના જણાવ્યા મુજબ આ વસાહતોમાં લોકોને કોર્પોરેશન દ્વારા પાણીનું જોડાણ પણ અપાયું નથી , લોકોએ પોતાની રીતે નળ કનેક્શન મેળવી  લીધા છે. પાણીની બાબતમાં પણ મ્યુનિ.તંત્રએ આ વસાહતો માટે કોઇ ધ્યાન આપ્યું નથી. સફાઇ કામદારો સફાઇ કરવા આવતા નથી જેને લઇને રહીશોએ ગંદકી વચ્ચે સબડવું પડી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા પાયાની સુવિધાઓ પુરી પાડવામાં  ભારે ઢિલાસ દાખવાઇ રહી છે. બીજી તરફ ખોખરા વોર્ડમાં સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં બ્લોક નં.૧ થી ૧૬૯ માં  ૧,૩૫૪ મકાનો આવેલા છે.

ચોથી પેઢી ત્યાં વસી રહી છે છતાંય આ વસાહતમાં રોડ-રસ્તાની હાલત બિસ્માર છે. તંત્ર દ્વારા ધ્યાન અપાયું નથી. રજૂઆતો છતાંય અધિકારીઓ જણાવી રહ્યા છેકે જોઇશું, કરીશું . કોર્પોરેટરો વાયદા-વચનો આપતા આપી જાય છે પરંતુ પછી જોવા પણ નથી આવતા તેવી લાગણી રહીશોના મનમાં જોવા મળી રહી છે.