Gujarat

GST અને ITઓડિટની તારીખ આગળ પાછળ હોવાથી રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ

By GS Team
29 Dec 20212 mins read
This article was originally published on 29 Dec 2021
GST અને ITઓડિટની તારીખ આગળ પાછળ હોવાથી રિટર્ન ફાઈલ કરવામાં તકલીફ

- આવકવેરાનો ઑડિટ રિપોર્ટ ભરાય પછી જીએસટી ઑડિટની તારીખ રાખો

- 31મી ડિસેમ્બર 2021 સુધીના  ઇન્વોઈસ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે નવો નિયમ લાગુ પડશે નહિ

અમદાવાદ : આવકવેરાનો ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ પહેલા જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની આવતી હોવાથી વેપારીઓને તકલીફ પડી રહી છે. પરિણામે પહેલા આવકવેરાનો ઑડિટ રિપોર્ટ ફાઈલ થઈ જાય તેના બેથી ત્રણ મહિના બાદ જ જીએસટીનો ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સિસ્ટમ રાખવી જોઈએ. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઑડિટને લગતા કાયદા મુજબ વાર્ષિક રૂ. ૫ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીએ જીએસટીના વાર્ષિક રિટર્નના ફોર્મ નંબર જીએસટીઆર-૯ ભરવાની સાથે જ જીએસટીઆર-૯ સી (ઑડિટ રિપોર્ટ) પણ અપલોડ કરવો પડે છે. આ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર છે. તેની સામે આવકવેરાનું ઑડિટ રિપોર્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૨ છે. આવકવેરાના ઑડિટ રિપોર્ટ ફાઈલ થયા વિના જીએસટીના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવા કઠિન છે. તેથી આવકવેરાના ઑડિટ રિપોર્ટ ફાઈલ થઈ ગયા પછી જ જીએસટીના ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની વ્યવસ્થા રાખવી જોઈએ તેવી વેપારી આલમની માગણી છે. જીએસટીઆર-૯ના વાર્ષિક રિટર્ન ફાઈલ કરતી વખતે ઑડિટ રિપોર્ટ તૈયાર કરવામાં ઉતાવળ થઈ જાય છે. તેથી વેપારીઓની તકલીફ વધી રહી છે. 

ટેક્સ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે આવકવેરાના ઑડિટ રિપોર્ટ અને જીએસટીના ઑડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ વચ્ચે સુમેળ હોવો જરૃરી છે. આવકવેરાના ઑડિટ રિપોર્ટ સબમિટ થયા પછી થોડા અઠવાડિયા બાદ જીએસટીનો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સિસ્ટમ રાખવી જોઈએ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાની જોગવાઈ મુજબ રૂ. ૫૦,૦૦૦થી વધુ મૂલ્યનો માલ ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવતો હોય તો તેને માટે ઈ-વૅ બિલ રાખવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. તેની સામે શહેરની સીમા મર્યાદામા ંજ માલ મોકલવાનો હોય તો તેવા સંજોગોમાં ગુજરાત સરકારના જીએસટી કમિશનરે ૧૯મી સપ્ટેમ્બર ૨૦૧૮ના કરેલા પરિપત્ર મુજબ શહેરની અંદર જ માલની હેરફેર કરવી હોય તો તેવા સંજોગમાં તેને રૂ. ૫૦,૦૦૦ના મૂલ્યની મર્યાદા લાગુ પડતી નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં શહેરની હદને અડોઅડ જ બીજા શહેરની હદ આવતી હોય તો તેવા સંજોગોમાં આ અંગે વિવાદ થાય છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં એક રસ્તો અમદાવાદમાં પડે છે, તેની બાજુનો જ રસ્તો ગાંધીનગરમાં પડે છે. તેથી તે રસ્તા પર માલ આપવા કોઈ પહોંચી જાય તો તેની પાસે બધાં જ દસ્તાવેજો હોવા છતાંય તેને નિયમ ભંગ કરેલો ગણાય છે. આ સ્થિતિ ચાંગોદર માલ આપવા જનારાઓને પણ કનડી રહી છે. આ પ્રકારના વિવાદથી બચવું હોય તો વેપાારીઓએ ગમે ત્યાં જાય ત્યાં ઈ-વૅ બિલ બનાવીને જ નીકળવું જોઈએ. ભલેને પછી તે રૂ. ૧૦,૦૦૦ના મૂલ્યનો જ માલ હોય. તેમ કરવાથી જીએસટીના અધિકારીઓની કનડગતથી બચી શકાય છે.