Get The App

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન 1 - image

Dhandhuka Murder Case: અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે (18 એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે આજે(20 એપ્રિલ) પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટે બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને રિઝવાન અને સમીરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ સમયગાળા દરમિયાન પોલીસ તપાસમાં અન્ય કયા ખુલાસા થાય છે અને હત્યા પાછળનું મુખ્ય ષડયંત્ર શું હતું, તેના પર સૌની નજર રહેશે.

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન 2 - image

પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

15થી વધુ પોલીસના કાફલા સાથે આરોપીઓને કોર્ટ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હાલમાં ધંધુકા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, છતાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલુ છે.

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન 3 - image

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધંધુકામાં બાઈક ઓવરટેક જેવી નજીવી બાબતે થયેલી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સમીર નામના આરોપીએ ધર્મેશ ગમારાને પકડી રાખ્યો હતો અને રિઝવાને તેના પર ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા હતા. જેના કારણે ધર્મેશ ગમારાનું મોત થયું હતું. હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. હત્યાની ઘટનાથી ઉશ્કેરાઈને તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે 125 જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, પીડિત પરિવારની માંગને પગલે અને સમગ્ર ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેથી દોષિતો સામે દાખલો બેસાડી શકાય તેવી કડક કાર્યવાહી કરી શકાય.