Gujarat

કોરોના પોઝિટિવ બનેલા દૂબઈ-ગોવા, ઉપરાંત વડોદરા,જયપુર જઈ અમદાવાદ પરત આવ્યા હતા

By GS Team
11 Nov 20211 min read
This article was originally published on 11 Nov 2021
કોરોના પોઝિટિવ બનેલા દૂબઈ-ગોવા, ઉપરાંત વડોદરા,જયપુર જઈ અમદાવાદ પરત આવ્યા હતા

અમદાવાદ,ગુરુવાર,11 નવેમ્બર,2021

અમદાવાદમાં બુધવારે કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા હતા.આ ૧૬ કેસની બહાર આવેલી મેડીકલ હિસ્ટ્રીમાં કોરોના પોઝિટિવ બનેલા લોકો દૂબઈ ઉપરાંત ગોવા અને વડોદરા તથા જયપુર જઈ અમદાવાદમાં પરત ફર્યા હતા.મોટાભાગનાએ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોના પોઝિટિવ થયેલા લોકોના પરિવાર અને આસપાસના લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,જોધપુર વોર્ડમાં કોરોનાના જે પોઝિટિવ કેસ નોંધાયા હતા.એ પૈકી ત્રણ લોકો દિવાળી પર્વ દરમ્યાન ગોવા જઈ અમદાવાદ પરત આવેલા છે.ચાંદખેડા વોર્ડમાં કોરોનાના જે પોઝિટિવ કેસ નોંધાયા છે એ પૈકી ત્રણ લોકો જયપુર અને બે દૂબઈ જઈ પરત ફર્યા હતા.ચાંદખેડા વોર્ડના તમામ પાંચ પોઝિટિવ લોકોએ કોરોના વેકિસનનો બંને ડોઝ લીધા હતા.ઈસનપુર વોર્ડમાં કોરોના પોઝિટિવ થયેલા ચાર લોકો કાળી ચૌદશના દિવસે વડોદરા ખાતે ગયા હતા.ત્યાંથી પરત ફર્યા બાદ મંગળવારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેનો રીપોર્ટ પોઝિટિવ આવતા બુધવારે આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ચાર પૈકી ત્રણની ઉંમર અઢાર વર્ષથી ઉપરની છે અને તમામ લોકોએ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણે વોર્ડમાં પોઝિટિવ આવેલા લોકોની આસપાસ રહેતા લોકોના કુલ મળીને 1684 જટલા લોકોના કોવિડ  ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ તમામના રીપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને પ્રતિક્રીયા આપતા કહ્યુ છે.