Gujarat

કોરોના વેકિસનના બંને ડોઝ લેનારા દસ, સિંગલ ડોઝ લેનારા ચાર લોકો સંક્રમિત

By GS Team
12 Nov 20211 min read
This article was originally published on 12 Nov 2021
કોરોના વેકિસનના બંને ડોઝ લેનારા દસ,  સિંગલ ડોઝ લેનારા ચાર લોકો સંક્રમિત

 અમદાવાદ,શુક્રવાર,12 નવેમ્બર,2021

ગુરુવારે અમદાવાદમાં કોરોનાના ૧૪ કેસ નોંધાયા હતા.આ પૈકી કોરોના વેકિસનના બંને ડોઝ લેનારા દસ લોકો અને સિંગલ ડોઝ લેનારા ચાર લોકો કોરોના સંક્રમિત થયા છે.કોરોના પોઝિટિવ થયેલા લોકો પૈકી ૭૦ ટકા બહારગામ જઈ પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ગુરુવારે અમદાવાદમાં કોરોનાના ૧૪ કેસ નોંધાતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ સંક્રમણને કાબૂમાં લેવા કરવામાં આવતા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરશે.આરોગ્ય વિભાગ તરફથી શહેરમાં સંક્રમણ ઘટવાની સ્થિતિમાં રોજના અંદાજે ૨૫૦૦ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવતા હતા.દિવાળી પર્વ સમયે આ ટેસ્ટની સંખ્યામાં વધારો કરી રોજના ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવતા હતા.જે પ્રમાણે અમદાવાદમાં બે દિવસમાં ત્રીસ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા છે.એને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ બમણા કરી રોજના ૮ હજારથી વધુ ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.