Gujarat

ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો, શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
નાના બાળકોના કથળતા સ્વાસ્થ્યને લઈ રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. શાળાઓ અને 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર મોડેલનો હવાલો આપી, ગુજરાતમાં પણ તાત્કાલિક કડક પગલાં લેવાની હિમાયત કરી. દેશી અને પૌષ્ટિક આહારને ફરી શરૂ કરવા ભાર મૂકાયો છે. આ માટે કડક SOP અને કેન્ટીન રજિસ્ટ્રેશનની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો, શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

Junk Food Ban In Schools: નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર મોડેલનો હવાલો અને દેશી આહાર પર ભાર

રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટર ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધનો હવાલો આપીને, ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રાખવા માટે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાની હિમાયત કરી છે. મહામંડળનું માનવું છે કે, વિદ્યાર્થીઓ 3 વર્ષની નાની ઉંમરે શાળામાં પ્રવેશે છે અને 18 વર્ષની વય સુધીનો તેમનો સૌથી મહત્ત્વનો સમય અહીં વિતાવે છે, જ્યાંથી જ તેઓ આહાર અને જીવનશૈલીની કાયમી આદતો ગ્રહણ કરે છે. આથી, શારીરિક નુકસાન પહોંચાડતા જંક ફૂડને બદલે કેન્ટીનોમાં પૌષ્ટિક અને સાત્વિક આહાર મળવો જોઈએ.

image.png

જીવનશૈલીની આદતોનું ઘડતર

બાળકોના ભવિષ્યના ઘડતર માટે આધુનિક નાસ્તાને સ્થાને અગાઉની જેમ જ સીંગ, ચણા, મમરા અને સેવ જેવા દેશી તથા પૌષ્ટિક આહારને ફરીથી શરૂ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાને પારદર્શક અને અસરકારક બનાવવા માટે મહામંડળે સરકાર પાસે એક કડક SOP તૈયાર કરવાની માંગ કરી છે. આ સૂચન અનુસાર, શાળાની તમામ કેન્ટીનોનું સ્થાનિક ગ્રામ પંચાયત, નગરપાલિકા કે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.

કેન્ટીન માટે કડક SOP અને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની માગ

બાળકોને કેન્ટીનમાં શું પીરસવામાં આવે છે તેની સમયાંતરે સત્તાવાર તપાસ થવી જોઈએ અને જાગૃત વાલીઓની ટીમ પણ આ પ્રક્રિયામાં સીધી દેખરેખ રાખે તે હિતાવહ છે. જો કોઈ શૈક્ષણિક સંસ્થા આ નિયમો અને SOPનું પાલન ન કરે, તો તેની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.