Gujarat

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત રાખવા માગણી

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત રાખવા માગણી

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ના સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરીને શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તારીખ 25 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી રાખવામાં આવ્યો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના 120 શાળામાંથી 90% શિક્ષકોએ બી.એલ.ઓ.ની કામગીરી નિભાવી હતી. આ કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને ખૂબ મુશ્કેલી પડી હતી .જેમાં મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ઘણી જગ્યાએ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ફરજિયાત ઓનલાઇન કામગીરી કરવામાં ખૂબ તકલીફ પડી હતી. 

ચૂંટણી પંચ તરફથી એન્ટ્રી કરવા માટે કોઈ સમજૂતી પણ આપવામાં આવી ન હતી. ઇન્ટરનેટ અને ટેબની સુવિધા અપાઈ ન હોવાથી કામગીરી કરવામાં પરેશાની અનુભવી હતી. એન્ટ્રી ના કારણો સર ઘણા શિક્ષકો અપમાનની સ્થિતિમાં મુકાઇ ગયા હતા. ડેટા એન્ટ્રી અને ફાઈલ અપલોડ કરવામાં મુશ્કેલીઓ પડી હતી. 

વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી માટે ઘણી વખત સંઘર્ષના બનાવનો પણ સામનો કરવો પડ્યો છે. શાળાના સમય ઉપરાંત ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરાવવામાં આવે છે. 22 નવેમ્બરથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે બાળકો વચ્ચે શિક્ષકો વધુ સમય ફાળવે તે જરૂરી છે. નવી શિક્ષણ નીતિ ના સિદ્ધાંતોમાં બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વ્યય થતો અટકાવવા માટે શિક્ષકોને શિક્ષણ સાથે જેવો કોઈ સંબંધ નથી તેવા કોઈ કાર્યોમાં સામેલ નહીં કરવા જણાવાયું છે.

શિક્ષકોને જટિલ વહીવટી કાર્યોમાં પણ સામેલ નહીં કરવાના કહ્યું છે .આ સંજોગોમાં શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરી જેમ કે 10 વર્ષીય વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને પ્રત્યક્ષ ચૂંટણી સિવાયનાં અન્ય બિન શૈક્ષણિક વહીવટી કામો માંથી દૂર રાખવાનો નિર્દેશ છે, તેનો અમલ કરવા સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે .બી.એલ.ઓ.ની કામગીરી રોટેશન પદ્ધતિ થી દર ત્રણ વર્ષે બદલવામાં આવે તેવી જોગવાઈ મુજબ સતત 10 થી 15 વર્ષ સુધી કામગીરી કરી રહેલા શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ .શિક્ષણ વિભાગ તેમજ ચૂંટણી પંચના પરિપત્ર મુજબ પ્રત્યેક શાળામાંથી સ્ટાફના 10 ટકાથી વધુ કર્મચારીઓની કામગીરી નઆપવી જોઈએ. 

મહિલા કર્મચારીઓની બી.એલ.ઓ તરીકે નિમણૂક અનિવાર્ય સંજોગોમાં જ કરવાની જોગવાઈ છે .શિક્ષણ સમિતિની શાળાઓની મોટાભાગની મહિલા શિક્ષિકાઓ બી.એલ.ઓ તરીકે ફરજ બજાવી રહેલ છે. તેઓના મતદાર ભાગમાં બી.એલ.ઓ તરીકે નિમણૂક આપવાની હોય છે અને આ જોગવાઇનો અમલ કરવા આવેદન પત્રમાં રજૂઆત કરી છે.