વર્ષ 2011થી કર્મચારીઓના હક્કના નાણાં ઓળવી જવાનો આક્ષેપ
કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી પીએફ જમા ન કરાવાયું હોવાની આવેદનમાં રજૂઆત : 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
નડિયાદ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના આથક હિતો સાથે લાંબા સમયથી ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ ૨૦૧૧થી પીએફના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી કોન્ટ્રાક્ટરોએ કર્મચારીઓના પગારમાંથી કપાત કરી હોવા છતાં આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નથી, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૨૨થી લાગુ થયેલા ઈએસઆઈના નિયમોમાં પણ આવી જ લાપરવાહી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ચાલુ વર્ષ ૨૦૨૫માં પણ બે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોએ અનુક્રમે એપ્રિલ અને સપ્ટેમ્બર મહિનાથી પીએફની રકમ જમા કરાવવાનું બંધ કરી દીધું છે. નિયમ મુજબ કપાત થયાના ૧૫ દિવસમાં નાણાં જમા કરાવવા અનિવાર્ય હોવા છતાં તંત્રની મિલીભગતથી આ રકમ બારોબાર સગેવગે કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.
આ કૌભાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં પણ પાલિકાના એકાઉન્ટ વિભાગ, તત્કાલીન ચીફ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. પીએફ અને ઈએસઆઈના ઓરિજિનલ ચલણ જોયા વગર જ કોન્ટ્રાક્ટરોના બિલો કેવી રીતે પાસ કરી દેવામાં આવ્યા તે તપાસનો વિષય છે. લઘુત્તમ વેતન, બોનસ અને ગ્રેચ્યુટી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા કર્મચારીઓએ જ્યારે આરટીઆઈ હેઠળ માહિતી માંગી ત્યારે પાલિકા તંત્રએ ગોળ-ગોળ જવાબો આપી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યોે હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી અને શ્રમ મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે અને જો ૧૫ દિવસમાં સંતોષકારક તપાસ નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- સમયરેખા મુજબ તપાસની માંગ
આવેદનપત્રમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૨૬ સુધીના તમામ હિસાબી રેકોર્ડ અને કોન્ટ્રાક્ટરોના કંપ્લાયન્સ રિપોર્ટની ઝીણવટભરી તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન જે પણ અધિકારીઓએ નાણાંકીય મંજૂરીઓ આપી છે તેમની મિલકતોની પણ તપાસ થાય તેવી શક્યતા છે.
- નિરીક્ષણ માટે કેન્દ્રીય સંસ્થાઓને અપીલ
સ્થાનિક તંત્ર પર ભરોસો ન હોવાથી હવે ઈપીએફઓ અને ઈએસઆઈસી જેવી સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ખાસ ઓડિટ કરાવવાની માંગ ઉઠી છે. જો કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરે તો નડિયાદ પાલિકાનું આ કૌભાંડ કરોડો રૂપિયા સુધી પહોંચી શકે તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું છે.
- એટ્રોસિટીની ફરિયાદ અને હાઈકોર્ટના જામીન
આ કૌભાંડ સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાની ટીમ સાથે અગાઉ જ્યારે રજૂઆત કરવા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં પહોંચ્યા હતા, ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ હાદક ભટ્ટ અને સાથીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે.


