Gujarat

વડોદરા: કોરોનામાં મૃત્યુ પામેલાઓને સહાયના ફોર્મ વિતરણમાં વિલંબ

By GS Team
24 Nov 20212 mins read
This article was originally published on 24 Nov 2021
વડોદરા: કોરોનામાં મૃત્યુ પામેલાઓને સહાયના ફોર્મ વિતરણમાં વિલંબ

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા કલેક્ટર ઓફિસે કોરોનાના ડેથ સર્ટિફિકેટના ફોર્મ વિતરણમાં લોલમલોલ સામે આવી છે. સરકારના હુકમ બાદ અન્ય શહેરોમાં કોરોનાના ડેથ સર્ટિફિકેટના ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

જોકે વડોદરા જિલ્લા કલેકટરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં તરફથી ફોર્મ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી નથી. તો બીજી તરફ આંકડાની રમત માં ખુદ તંત્ર ભરવાયું હોય તેમ અન્ય શહેરોમાં સરકારી આંકડા સામે ફોર્મનો ઉપાડ વધુ જોવા મળ્યો છે. જેથી વડોદરામાં પણ હવે ફોર્મ વિતરણથી મૃતકોના આંકડા છુપાવવાની માયાજાળ ખુલ્લી પડશે. પાલિકાના ચોપડે કોરોનાથી 623ના મોત જોકે સહાયના ફૉર્મ પોલ ખોલે તો નવાઈ નહિ.

કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ માન્ય રાખી દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે.

કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનાં પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા અને એ સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુવિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે. જેમના પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થયું હોય, પરંતુ સર્ટિફિકેટમાં એનો ઉલ્લેખ ના થયો હોય તેઓ અરજી કરી શકશે. 

સર્ટિફિકેટ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી.ફોર્મ પરત કરતી વેળાએ મરણ જનારના ડેથ સર્ટીફિકેટ, સહાય મેળવવા માટે વારસદારોની સંમતિ, પેઢીનામુ, બેંકપાસ બુકની ઝેરોક્ષ તેમજ કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યુ હોય તેવા કિસ્સામાં શહેરી વિસ્તારમા નગરપાલિકા તેમજ ગ્રામ્યકક્ષાએ ગ્રામપંચાયતમાંથી નમુના નં.4નુ ફોર્મ ભરીને આપ્યા બાદ સહાય વિતરણ અંગેની વધુ પ્રક્રિયા હાથ ધરાશે.