Gujarat

જામનગર જિલ્લામાં આખરે કોરોનાના વળતા પાણી: શહેરના માત્ર 03 અને ગ્રામ્યના 01 સહિત માત્ર 04 પોઝીટીવ કેસ નોંધાયા

By GS Team
12 Feb 20222 mins read
This article was originally published on 12 Feb 2022
જામનગર જિલ્લામાં આખરે કોરોનાના વળતા પાણી: શહેરના માત્ર 03 અને ગ્રામ્યના 01 સહિત માત્ર 04 પોઝીટીવ કેસ નોંધાયા

- શહેરી વિસ્તારના 75 અને ગ્રામ્યના 12 સહિત 87 કોરોનામુક્ત થયા: છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

જામનગર, તા. 12

જામનગર શહેરમાં લાંબા સમય પછી કોરોનાના વળતા પાણી થયા છે, અને કોરોનાનો ગ્રાફ સિંગલ ડિજિટમાં આવી જતાં આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. શહેરના માત્ર 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 75 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ સમાપ્તિ તરફ પહોંચી ગયા છે, અને ગઈકાલે માત્ર 01 પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની સામે 12 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લાના માત્ર 04 પોઝીટીવ કેસ નોંધાયા છે, જેની સામે 87 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જેથી કોરોના સમાપ્તિ તરફ આગળ વધ્યો છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં કોરોના થી એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હોવાથી મૃત્યુના મામલે પણ રાહત જોવા મળી છે.

જામનગર શહેર અને જિલ્લાના ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, જેમાં ગઈકાલે કોરોનાનો ગ્રાફ સાવ તળિયે આવી ગયો છે, અને કોરોનાના વળતા પાણી થયા છે. જેથી શહેર જિલ્લા માટે ખૂબ જ રાહતના સમાચાર છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં માત્ર 04 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થવાના આરે છે, અને લોકોએ ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. ફરીથી કોરોનાનો ગ્રાફ ઉપરના આવે તેની સર્વેએ તકેદારી રાખવી અત્યંત જરૂરી બની છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા નથી, જેથી કોરોનાના મૃત્યુના મામલે પણ ખૂબ જ રાહત જોવા મળી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં હાલ માત્ર 33 દર્દી દાખલ છે, જેમાં 32 દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે 1 દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણી સારવાર અપાઇ રહી છે.હજુ પણ 04 દર્દી વેન્ટિલેટરની મદદથી સારવાર મેળવે છે.