સુરસાગર તળાવે સિક્યુરિટી ગાર્ડ સાથે રોજિંદી માથાકૂટ : નાસ્તો લઈ જવા રોકતા સહેલાણીઓ સાથે બોલાચાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના સુરસાગર તળાવ ખાતે રોજ રાત્રિના સમયે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ અને બોલાચાલીની ઘટનાઓ વધતી જઈ રહી છે.
તળાવ પર ગંદકી ન ફેલાય તે માટે સહેલાણીઓને જમવાનું અને નાસ્તો અંદર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ નિયમનું પાલન કરાવવા જતા સિક્યુરિટી ગાર્ડ અને સહેલાણીઓ વચ્ચે રોજ રકઝક સર્જાતી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ઘણા સહેલાણીઓ નાસ્તો અને ખાદ્ય વસ્તુઓ સાથે તળાવ ખાતે પહોંચે છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવતા બોલાચાલીથી લઈને ઉગ્ર માથાકૂટ સુધીની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને રાત્રે તળાવ બંધ કરવાનો સમય થાય ત્યારે કેટલાક લોકો બહાર નીકળવા મુદ્દે પણ ગાર્ડ સાથે ઉગ્ર વાદવિવાદ કરતા હોવાનું જાણવા મળે છે.
સુરસાગર તળાવ અગાઉ પણ અનેક વખત ચર્ચામાં રહ્યું છે. ભૂતકાળમાં કેટલાક લોકોએ તળાવમાં મોતનો ભૂસકો માર્યાના બનાવો બનતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા હતા.
ગઈકાલે રાત્રે પણ એક સહેલાણી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે નાસ્તો અંદર લઈ જવા મુદ્દે ભારે રકઝક સર્જાઈ હતી. ઘટનાના પગલે ત્યાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
સિક્યુરિટી ગાર્ડ દ્વારા તંત્ર સમક્ષ માગ કરવામાં આવી છે કે, સુરસાગર તળાવ ખાતે સ્પષ્ટ સૂચનાઓ દર્શાવતા સાઈન બોર્ડ મૂકવામાં આવે તેમજ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. જેથી નિયમો અંગે સહેલાણીઓને અગાઉથી જાણ થાય અને આવી ઘટનાઓમાં ઘટાડો કરી શકાય.








