Vadodara : વડોદરાના ગોરવા રિફાઇનરી રોડની પ્રગતિનગરમાં રહેતા ખાનગી કંપનીના નોકરીયાત યુવકના ઘરમાંથી કુટુંબી ભાઈએ સમયાંતરે રૂ.3.35 લાખના સોનાના દાગીના ચોરી કરીને બે ભાઈબંધ દ્વારા સોનીને વેચી નાખ્યા હોવાનો પર્દાફાશ થતા ગોરવા પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ગોરવા રિફાઇનરી રોડની પ્રગતિનગરમાં પરિવારજનો સાથે રહેતા મિલિંદ લક્ષ્મણ સનગરે ગોરવા પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન વખતે સગા સંબંધીઓએ સોના ચાંદીના દાગીના ભેટમાં આપ્યા હતા. જ્યારે મામાની દીકરી વૈષ્ણવી પંચાલે પણ સોનાના દાગીના પત્ની અંજલીને રાખવા આપ્યા હતા. આ દાગીનાની પૂજા કરવા ગત 2025માં ધનતેરસે કબાટમાંથી કાઢ્યા હતા. ત્યારબાદ જુદા-જુદા બોક્સમાં પરત મૂક્યા હતા. દીકરા રાઘવના જન્મ પ્રસંગે તેને સોનાની ચેન પહેરવા અંગે માતા અંજલીએ કબાટનું લોકર ખોલ્યું હતું પરંતુ બોક્સમાંથી દાગીના ગુમ હતા અને માત્ર ખાલી બોક્સ હતા. જેથી અંજલીએ તેના પતિ મિલિંદને ફોનથી જાણ કરી હતી. નોકરીએથી તાત્કાલિક ઘરે આવેલા મિલિન્દે પણ આ બાબતે ચોકસાઈ કરી હતી. તિજોરીનું લોક તૂટેલું કે ખૂલેલું ન હતું. ત્યારબાદ બનાવો અંગે ગોરવા પોલીસને જાણ કરી હતી.
પોલીસે મિલિંદના મામાના દિકરા વરૂણ શ્રીકાંત જાદવની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ભાંગી પડેલા વરૂણે સિફત પૂર્વક દાગીના સેરવી લીધાની કબુલાત કરી હતી. આ તમામ દાગીના સઈદ દિલીપ રાઠોડ (ભાઈલાલ પાર્ક, મધુનગર ગોરવા) અને અરસાન રફીક મલેક (રહે ભાઈલાલ પાર્ક)ને વેચવા માટે આપ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ બંને આરોપીની પૂછપરછ કરતા તમામ દાગીના ગોરવાના કન્યાદાન જ્વેલર્સ સંચાલક નિકુંજ વિનોદચંદ્રએ તમામ દાગીના ખરીદી કર્યાની કબુલાત કરી લીધી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરીને મુદ્દામાલ કબજે કરવા કવાયત શરૂ કરી હતી.


