Get The App

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી 1 - image

સ્ટેટ જીએસટી વિભાગની કોમ્પ્યુટર ક્લાસિસમાં સતત ચાર દિવસ તપાસ ચાલી

ટર્નઓવર વધારે હોવા છતાં ઓછું બતાવી કંપોઝિટની શરતનો ભંગ કરી કરચોરી કરવામાં આવતી હતી

ભાવનગરસ્ટેટ જીએસટી વિભાગ ભાવનગર દ્વારા ગત શનિવારના રોજ શહેરના નામાંકિત કોમ્પ્યુટર ક્લાસિસ કોસમોસ ઈન્સ્ટીટયૂટના જુદાં-જુદાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એસજીએસટીની શનિવારે શરૃ થયેલી તપાસ સતત ચાર દિવસ ચાલી હતી. જેમાં કંપોઝિટની શરત ભંગ માટે સંસ્થા સામે કાર્યવાહી કરતા ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી મળી કુલ રૃ.૧.૫ કરોડની જવાબદારી ઉભી કરવામાં આવી છે.

ભાવનગરના નામાંકિત કોમ્પ્યુટર ક્લાસિસ કોસમોસ ઈન્સ્ટીટયૂટની હેડ ઓફિસ અને ચાર બ્રાંચ ઓફિસ મળી શહેરના કુલ પાંચ સ્થળોએ ગત શનિવારના સવારથી જ સ્ટેટ જીએસટી વિભાગની જુદી-જુદી પાંચ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ જીએસટી વિભાગની શનિવારે શરૃ થયેલી તપાસ સતત ચાર દિવસ ચાલી હતી, જેમાં ઈન્સ્ટીટયૂટના સાહિત્ય અને હિસાબી ચોપડા તપાસની ઝીણવટપૂર્વકની તપાસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે તપાસ આજે પુર્ણ થઈ છે. સીસીસી, ટેલી, સ્પોકન ઈંગ્લિશ અને વેબ ડિઝાઈનિંગ જેવા કોર્સ કરવાતી સર્વિસ સેક્ટરની કેટેગરીમાં આવતી આ ઈન્સ્ટીટયૂટનું વાર્ષિક ટર્ન ઓવર રૃ.૫૦ લાખથી વધારે હોવા છતાં ઓછું બતાવી કંપોઝિટની શરતનો ભંગ કરી કરચોરી કરવામાં આવતું હોવાનું વિભાગની તપાસમાં ખુલતા રૃ.૭૨ લાખ વેરા અને વ્યાજ તથા પેનલ્ટી મળી કુલ રૃ.૧.૫ કરોડની જવાબદારી ઈન્સ્ટીટયૂટ સામે ઉભી કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

 ૧૨૮ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર કનેક્શન

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગત તા.૧૬ જૂન ૨૦૨૬ના રોજ ભાવનગર, જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતની કુલ ૨૨ પેઢીઓમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ રૃ.૧૨૮ કરોડથી વધારેનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. બ્રાસ, કોપર સ્ક્રેપની અસ્તિત્વ ન ધરાવતી હોય તેવી પેઢીઓ પાસેથી રૃ.૨૩.૦૮ કરોડથી વધારેની ખોટી રીતે આઈટીસી મેળનારા જામનગરના પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે આગામી દિવસોમાં ભાવનગરમાં પણ મોટાપાયે ગેરરિતી ઝડપાઈ અને કાર્યવાહી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.