Gujarat

સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ : વધુ આઠ કેસ નોધાયા

By GS Team
1 Jul 20202 mins read
This article was originally published on 1 Jul 2020
સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ : વધુ આઠ કેસ નોધાયા

પ્રાંતિજ, અમદાવાદ તા.30  જૂન, 2020, મંગળવાર

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને એક જ દિવસમાં કોરોના પોઝેટીવના આઠ કેસ પ્રકાશમાં આવતાની સાથે જ વહિવટી તંત્ર ધ્વારા સાવચેતીના પગલા લઈને તથા કોરોનાથી વધુ સંક્રમણ ન થાય તે માટે કેટલાક વિસ્તારોને કન્ટેઈમેન્ટ ઝોનમાં સમાવેશ કરવાની કાર્યવાહી ઝડપી બનાવાઈ રહી છે. અને અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યા ૧૫૫ પર પહોચી ગઈ છે.જયારે પ્રાંતિજમાં ૧૨ કલાકમાં પાંચ કેસ નોંધાયા છે.

 જિલ્લામાં રોજ બરોજ કોરોના પોઝેટીવ કેસની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે જે ચિંતાજનક ગણી શકાય છે જિલ્લામાં અનલોક-૧ બાદ સરકાર ધ્વારા અપાયેલી છુટછાટોને પગલે જિલ્લાની પ્રજા બેજવાબદાર બની માસ્ક પહેર્યા વગર ગીચ વિસ્તારોમાં ફરી રહી છે અને કેટલાક લોકો તો પણ પરીવારની પરવાહ કર્યા વિના પ્રતિબંધિત વિસ્તારોમાં લટાર મારી રહ્યા છે. જેને લીધે કોરોનાથી સંક્રમણ થવાની શક્યતા વધી રહી છે.

દરમિયાન આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ મંગળવારે જિલ્લામાં નવા આઠ કોરોના પોઝેટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે જેમાં ઈડર તાલુકાના ચિત્રોડા ગામના ૮૦ વર્ષિય પુરૂષ, ઈડરના શ્રીનગરમાં રહેતા ૬૫ વર્ષિય મહિલા કોરોનાનો શિકાર બન્યા છે તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના બેરણા ગામમાં રહેતા દશ વર્ષિય બાળક અને હિંમતનગરના મહાવીરનગરમાં આવેલ બોમ્બે સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષિય યુવક કોરોના પોઝેટીવનો ભોગ બન્યો છે. પ્રાંતિજ તાલુકામાં ૨૪ કલાકમાં પાંચ કેસ નોંધાયા છે. જેમાં દુકાનદાર સહિત પાંચ વ્યકિત કોરોનામાં સપડાયા છે.  સોનાસણ ગામના એક ૨૪ વર્ષીય યુવક અને પ્રાંતિજની દેસાઈની પોળમાં રહેતી ૪૫ વર્ષિય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા તમામને સારવાર માટે ખસેડાયા છે. જોકે મંગળવારે પ્રાંતિજ તાલુકાના એક દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષિય મહિલા તથા પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષિય પુરૂષનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે જેથી બે દિવસમાં વધુ આઠ કેસ નોધાતાની સાથે જિલ્લમાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યા ૧૫૫ થઈ છે. જોકે અત્યાર સુધીમાં ૧૧૫ દર્દીઓને રજા આપી દેવાઈ છે.