Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા ૧૭૮ કેસ,પશ્ચિમના વિસ્તારમાં સૌથી વધુ કેસ

By GS Team
28 Dec 20212 mins read
This article was originally published on 28 Dec 2021
અમદાવાદમાં કોરોનાના નવા ૧૭૮ કેસ,પશ્ચિમના  વિસ્તારમાં સૌથી વધુ કેસ

અમદાવાદ,મંગળવાર,28 ડીસેમ્બર,2021

અમદાવાદ શહેરમાં મંગળવારે ૨૪ કલાકમાં જ કોરોના વિસ્ફોટ થવા પામ્યો હતો.સોમવારે કોરોનાના ૯૮ કેસ નોંધાયા હતા.૨૪ કલાકની અંદર વધેલા કોરોનાના નવા કેસ પૈકી સૌથી વધુ કેસ પશ્ચિમમાં આવેલા પાલડી, નવરંગપુરા ઉપરાંત નારણપુરા,આંબાવાડી તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડીયા,ગોતા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં નોંધાયા હોવાનું જાણવા મળે છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના આઠ દર્દી સારવાર હેઠળ છે.કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં ૧૪ દર્દી સારવાર લઈ રહ્યા છે.

૪ જુનના દિવસે અમદાવાદમાં કોરોનાના કુલ ૧૭૬ કેસ નોંધાયા હતા.એ દિવસે શહેરમાં ચાર લોકોના કોરોનાની સારવાર દરમ્યાન મોત થવા પામ્યા હતા.સાત મહિનાના લાંબા સમય બાદ શહેરમાં મંગળવારે કોરોનાના એક જ દિવસમાં ૧૭૮ કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો.૧૪ દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આશ્વાસનરુપ બાબત એટલી હતી કે,મંગળવારે કોરોનાથી એક પણ મોત થવા પામ્યુ નહોતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના આઠ તથા ઓમિક્રોનના ચાર દર્દી સારવાર હેઠળ છે.મ્યુનિ.તંત્ર તરફથી દસ જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી છે.આ હોસ્પિટલમાં ૧૪ દર્દી સારવાર લઈ રહ્યા છે.માર્ચ-૨૦૨૦થી અમદાવાદમાં કોરોના સંક્રમણનો આરંભ થવા પામ્યો હતો.૨૮ ડીસેમ્બરની સ્થિતિએ શહેરમાં કોરોનાના કુલ ૨,૩૯,૫૬૨ કેસ નોંધાવા પામ્યા છે.અત્યાર સુધીમાં ૨,૩૫,૪૩૭ લોકો કોરોનામુકત થવા પામ્યા છે.માર્ચ-૨૦૨૦થી ૨૮ ડીસેમ્બર સુધીમાં શહેરમાં કોરોના સંક્રમિત થવાથી ૩૪૧૨ લોકોના મોત થવા પામ્યા છે.મંગળવારે શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૭૯૨ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૮૩૫૦ લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ આપવાની સાથે કુલ ૨૨૧૪૨ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં ૪૨૩૫ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા આ પૈકી ૩૭૯૨ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

શહેરના કયા-કયા વિસ્તારમાં કોરોનાનું વધુ સંક્રમણ

શહેરના પશ્ચિમઝોનમાં આવેલા પાલડી,નવરંગપુરા ઉપરાંત નારણપુરા આંબાવાડી તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ, ઘાટલોડીયા,ચાંદલોડીયા,ગોતા વિસ્તાર ઉપરાંત દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર વોર્ડમાં મંગળવારે કોરોનાના નવા કેસ નોંધાવા પામ્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિ.એ ટેસ્ટ વધારતા કેસોની સંખ્યામાં વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ૩૨ જેટલા સ્થળે કોરોના ટેસ્ટીંગ શરુ કરવામાં આવેલા છે.આ તમામ સ્થળોએ શહેરના વિવિધ વિસ્તારમાંથી લોકો ટેસ્ટ કરાવવા ઉમટી પડે છે.મ્યુનિ.એ ટેસ્ટની સંખ્યા વધારતા કોરોના સંક્રમિતની સંખ્યા પણ વધી હોવાનું જાણવા મળે છે.આ સિવાય શહેરીજનો ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે.