Gujarat

કોરોનાના કેસ ઘટતા રસી લેવામાંલોકો નિરુત્સાહ, મ્યુનિ.તંત્રના અથાક પ્રયાસ છતાં પૂર્વઝોનમાં લોકો કોરોના રસી લેવા મામલે હજુ પાછળ

By GS Team
20 Mar 20222 mins read
This article was originally published on 20 Mar 2022
કોરોનાના કેસ ઘટતા રસી લેવામાંલોકો નિરુત્સાહ, મ્યુનિ.તંત્રના અથાક પ્રયાસ છતાં પૂર્વઝોનમાં લોકો કોરોના રસી લેવા મામલે હજુ પાછળ

અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી ૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવાના હેતુથી કોરોના રસી આપવામાં આવી રહી છે.લોકો રસી લે એ માટે મ્યુનિ.તરફથી તેલના એક લિટરના પાઉચ આપવાથી લઈ આઈફોન સુધીની ચીજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનોની મદદથી આપ્યા છે.મ્યુનિ.ના અથાક પ્રયાસ છતાં અમદાવાદ પૂર્વમાં આવેલા ચાર ઝોનમાં પૂર્વ ઝોનમાં લોકો કોરોના રસી લેવા મામલે પાછળ જોવા મળી રહ્યા છે.

૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી મ્યુનિ.ના હેલ્થ વિભાગે શહેરના તમામ ઝોનમાં રહેતા લોકોને કોરોના રસી આપવાની કામગીરી શરુ કરી છે.૧૯ માર્ચ-૨૦૨૨ સુધીમાં શહેરના તમામ ઝોનમાં કુલ મળીને ૧,૦૦,૪૦,૩૬૩ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે.૧૯ માર્ચ સુધીમાં શહેરના મધ્ય ઝોનમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૧૧૪.૯૬ ટકા જયારે બીજો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૮૫.૦૫ ટકા સુધી પહોંચી હતી.પૂર્વ ઝોનમાં પહેલો ડોઝ લેનારાની ટકાવારી ૯૫.૧૧ ટકા જયારે બીજો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૮૨.૬૨ ટકા સુધી પહોંચી હતી.ઉત્તર ઝોનમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારાની ટકાવારી ૧૦૧.૯૭ ટકા જયારે બીજો ડોઝ લેનારાની ટકાવારી ૮૪.૧૬ ટકા સુધી પહોંચવા પામી હતી.દક્ષિણ ઝોનમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારાની ટકાવારી ૧૦૧.૦૨ ટકા જયારે બીજો ડોઝ લેનારાની ટકાવારી ૭૫.૩૪ ટકા સુધી પહોંચી હતી.

૧૦ જાન્યુઆરી-૨૦૨૨થી મ્યુનિ.હેલ્થ વિભાગ તરફથી શહેરમાં વસતા ૬૦ વર્ષ કે તેથી વધુની વય ધરાવતા નાગરિકોને રસીનો બીજો ડોઝ લીધાને નવ મહિનાનો સમય પુરો થયો હોય એમને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.મધ્ય ઝોનમાં ૧૦ જાન્યુઆરીથી ૧૯ માર્ચ સુધીમાં ૨૬૩૭૩ લોકોને, પૂર્વ ઝોનમાં ૧૯૨૬૮, ઉત્તરમાં ૨૧૧૦૭ તથા દક્ષિણ ઝોનમાં ૩૦૮૧૪ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.શહેરના તમામ લોકોને કોરોના સામે રક્ષણ મળી રહે એ માટે મ્યુનિ.હેલ્થ વિભાગ તરફથી અલગ અલગ સમયે ડ્રાઈવ થૂ્ વેકિસનેશન તેમજ ઘર સેવા વેકિસનેશન જેવા અલગ અલગ આયોજન કરી કોરોના વેકિસન આપવા અથાક પ્રયાસ કર્યા છે.

બાળકોને પણ કોરોના વેકિસન આપવા મ્યુનિ.નું અભિયાન

અમદાવાદ મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન સોલંકીની મળેલી પ્રતિક્રીયા મુજબ,કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે શહેરમાં વસતા તમામ ૧૫ થી ૧૮ વય જુથના અને ૧૨થી ૧૪ વય જુથના બાળકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.મ્યુનિ.હસ્તકના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ૮૦ ખાનગી અને મ્યુનિ.શાળાઓમાં બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી રહી છે.૧૨થી ૧૪ વય જુથના બાળકોને કોર્બોવેકસ વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે.