ગુજરાતઃ સાબરમતી રેલવે સ્ટેશનની હદમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરૂં નિષ્ફળ બનાવાયું

- અજાણ્યા શખ્સોએ મોરૈયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે 100 મીટરના ગાળામાં 134 સલેપાટના કુલ 268 એન્કર ઉખાડીને ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધેલા
અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર
અમદાવાદ જિલ્લામાં મોરૈયા-મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવીને દુર્ઘટના સર્જવાના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ બંને રેલવે સ્ટેશન વચ્ચે રેલવે કિ.મી. નં-37/08થી ડાબી બાજુના પાટા ઉપર ગ્લુ જોઈન્ટથી રેલવે કિ.મી. નં- 38/00 સુધીના આશરે 100 મીટરના ગાળામાં 134 સલેપાટના કુલ 268 એન્કર (ERC) ઉખાડી નાખ્યા હતા.
પ્રાથમિક દૃષ્ટિએ કોઈએ આર્થિક લાભ માટે એન્કર ઉખાડી નાખ્યા હોવાનું જણાઈ રહ્યું હતું પરંતુ તપાસ દરમિયાન RPFને થોડે દૂર ઝાડી-ઝાંખરા અને પાણીના ખાબોચીયાઓમાંથી એન્કર મળી આવતાં બદઈરાદાનો ખુલાસો થયો હતો. રેલવેમાં ટ્રેકમેન તરીકે નોકરી કરતાં બાવળા તાલુકાના મોરૈયા ગામના નિવાસી અહમદહુસેન અને તેમના સાથે કી-મેન તરીકે પેટ્રોલિંગ માટે ફરજ બજાવતા મોરૈયા નિવાસી મદનલાલને સોમવારે તા. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે ડ્યુટી દરમિયાન પાટા પર એન્કર (ERC) ન હોવાની જાણ થઈ હતી.
તેઓ રેલવે ટ્રેક પર એન્કર (ERC), પાટાના જોઈન્ટ વેલ્ડિંગ, પોઈન્ટ્સના બોલ્ટ, જોડપટ્ટીના બોલ્ટ, સલેપાટ, રેલ ફ્રેક્ચર અને ટ્રેક પર પથ્થર ચેક કરવા સહિતની કામગીરી કરતા હતા તે દરમિયાન સવારે 08:20 કલાકે આ અંગેની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમણે મોરૈયા રેલવે સ્ટેશનમાં જાણ કરી હતી અને મટોડા રેલવે સ્ટેશનના ઓન ડ્યુટી સ્ટેશન માસ્ટરને પણ જાણ કરવામાં આવી હતી. તેમણે ધોળકા તરફથી આવી રહેલી માલગાડીને સવારે 09:00 કલાકે મટોડા રેલવે સ્ટેશન ખાતે ઉભી રખાવી દીધી હતી જેને લાઈન ક્લીઅર થયા બાદ 11:25 કલાકે રવાના કરવામાં આવી હતી.




