ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનને 4 લાખનું વળતર આપવા કોંગ્રેસની માગણી

- સરકાર મૃત્યુના આંકડા છુપાવે છે તેવો આક્ષેપ
- મહામારીમાં સરકારી તંત્રની નિષ્ફળતા બદલ તપાસની પણ માગણી
વડોદરા, શુક્રવાર
ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનને રૂપિયા 4 લાખનું વળતર આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. આજ રોજ વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 4 લાખનું વળતર ઉપરાંત તમામ મેડિકલ ખર્ચ અને મૃતકના પરિવારમાંથી એકને નોકરી તેમજ કોરોના મહામારીમાં સરકારી તંત્રની નિષ્ફળતાની નિષ્પક્ષ તપાસ કરી જે કોઈ જવાબદાર હોય તેઓ સામે પગલાં લેવાની પણ માગણી કરે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડા છુપાવે છે અને પોતાની નબળાઈ દબાવીને 10000 મોત થયા હોવાનું કહે છે. એક રિપોર્ટ ટાંકીને તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં આશરે ત્રણ લાખના મોત થયા છે. સરકાર હાલ જે વળતર આપી રહી છે તે માટે સરકાર પાસે એક લાખ અરજીઓ આવી છે. જેમાંથી 60 હજાર મંજૂર થઈ છે, 15000 પેન્ડિંગ છે અને ઘણી બધી રિજેક્ટ કરવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ બદલ સરકાર સર્ટિફિકેટ પણ આપતી નથી અને આંકડાઓ છુપાવે છે . એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે સરકારે ઉદ્યોગપતિઓના એનપીએ થયેલા દસ લાખ કરોડ માફ કર્યા છે પરંતુ કોરોના મહામારીથી મુશ્કેલીમાં મુકાયેલા લોકોને જોઈએ તેવી મદદ કરી નથી. કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હેઠળ મૃતકના પરિવારને ચાર લાખ આપવા જોઈએ. જેમાં 75 ટકા રકમ કેન્દ્ર સરકાર અને બાકીની 25 ટકા રકમ એટલે કે એક લાખ રૂપિયા રાજ્ય સરકારે આપવા જોઈએ. દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્યો 25 ટકા રકમ આપવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટે પણ ત્રણ દિવસ અગાઉ ચુકવણીની કામગીરી જલ્દી કરવા ટકોર કરી છે. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત થયેલા લોકોનું પ્રતિનિધિત્વ મળે તેવા ઉમેદવારોને કોંગ્રેસ પસંદ કરશે. કોરોનાથી વ્યથીત થયેલી પ્રજા 2022માં બહાર આવશે અને આ સરકારની વિદાય કરી નવી કોંગ્રેસ સરકાર લાવશે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસનો આ વખતનો ટાર્ગેટ 125 બેઠક જીતવાનો છે.




