Get The App

નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા 1 - image

- તંત્ર માત્ર નોટિસો આપીને સંતોષ માન્યો 

- 2022 ની પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ નં. 67 કરીને દબાણો હટાવીને કબજો લેવાનો નિર્ણય કરાયો હતો 

નડિયાદ : નડિયાદના માણેક ચોક વિસ્તારમાં પાલિકાની માલિકીની મલાવ તળાવની જમીન પર પાકા દબાણો ખડકી દેવાયા છે. ૧૯૮૧ માં માત્ર ખાણી- પીણીની લારીઓ ઉભી રાખવા માટે અપાયેલી ૧૨૦ ચોરસ ફૂટની જગ્યામાં આજે પાકા બાંધકામો અને પતરાના શેડ ખકદી દેવાયા છે. 

નડિયાદ પાલિકામાં ૨૦૨૨માં સામાન્ય સભામાં ઠરાવ નં. ૬૭ પસાર કરીને તમામ ગેરકાયદે દબાણો દૂર કર પ્રત્યક્ષ કબજો લેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ અત્યાર સુધીમાં તંત્રએ માત્ર દેખાડા પુરતી જ કામગીરી કરી છે. માણેક ચોકની વિવાદિત જગ્યામાં ભૂતકાળમાં પાલિકાએ ગેરકાયદે શેડ તોડવાની ઝુંબેશ કરી હતી. પરંતુ જમીનનો પ્રત્યક્ષ કબજો લેવાની પણ તસ્દી ક્યારેય લીધી નથી. રેકોર્ડ મુજબ, ૧થી૨૫ નંબરના સ્ટોલ ધારકોને ચોક્કસ શરતોએ જમીન ફાળવાઇ હતી. જેની મુદત પણ પૂર્ણ થઇ ચૂકી છતાં દબાણકારોપાલિકાને જાણ કર્યા વિના જ પાકા બાંધકામો કરી દીધા છે. જયારે મૂળ લાભાર્થીઓ પોતે ધંધો કરવાના બદલે પાલિકાની જમીન અન્ય વેપારીઓને તોતિંગ ભાડા આપી હોવાનું પાણ સામે આવ્યું છે. પાલિકાને એક રૂપિયો પણ ભાડું મળતુ નથી. જયારે અધિકારીઓ માત્ર નોટિસો આપીને સંતોષ માને છે. 

સંતરામ રોડ પર ડી.પી.દેસાઇના ખાંચાથી સંતરામ ટાવર સુધીના દુકાનદારોએ પોતાની દુકાનની પાછળના ભાગે તળાવની જમીનમાં ગેરકાયદે દબાણો કર્યા છે. તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના રસ્તા નડતરરૂપ એક દુકાન તોડીને સંતોષ માન્યો હતો. પરંતુ વગદાર વેપારીઓએ સામે લાલ આંખ કરવામાં અધિકારીઓ પાછી પાની કરી રહ્યાં છે. 

પાલિકાની જમીનમાં પેટા ભાડે સ્ટોલ પધરાવાયા 

પાલિકાના નિયમો મુજબ ફાળવાયેલી જગ્યા અન્ય કોઈને આપી શકાતી નથી, તેમ છતાં માણેકચોકમાં મોટાભાગના સ્ટોલ અને શેડ અન્ય વેપારીઓને ભાડે આપી દેવાયા છે. મૂળ ફાળવણી ધારકો ઘરે બેઠા હજારો રૂપિયા ભાડું વસૂલે છે, જ્યારે પાલિકાની તિજોરીમાં ફૂટી કોડી પણ આવતી નથી. 

46 વર્ષની પાલિકા અને મનપાની બેદરકારીથી દબાણો યથાવત્ 

વર્ષ ૧૯૮૧ માં લાયસન્સ ફીથી અપાયેલી જગ્યાઓ આજે સૌથી મોટા બજાર જેવું સ્વરૂપ ધારણ કરી ચુકી છે. છેલ્લા ૪૬ વર્ષમાં અનેક બોર્ડ બદલાયા અને અનેક અધિકારીઓ આવ્યા, પણ માણેકચોકનું દબાણ હટાવવાની કોઈએ તસ્દી લીધી નથી. ૨૦૧૦ માં અપાયેલી નોટિસોનો કચરાપેટીમાં નિકાલ કરી દેવાયો હતો, અને હવે ૨૦૨૨ ના ઠરાવની સ્થિતિ પણ તેના જેવી જ થતી જોવા મળી રહી છે. ત્યારે ઉચ્ચાધિકારીઓ હજુ પણ મૌન સેવીને બેસી રહેશે, તે અંગે ચર્ચાઓ ઉઠી છે.