Jamnagar Crime : જામનગરમાં મિલકતના ભાગને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હોવાની ઘટના સામે આવી છે. ખોજાવાડ વિસ્તારમાં રહેતા એક વકીલે પોતાના ભાણેજ અને સગી બહેન સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ ખોજાવાડ વિસ્તારમાં રહેતા યાકુબભાઈ યુસુફભાઈ જુમાણી, જે વ્યવસાયે વકીલ છે, તેઓ ગત તા.22 એપ્રિલ 2026ના રોજ રાત્રે પોતાના ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમના ભાણેજ મુસ્તાક સુલેમાન મૈણએ કુલસમબેન દ્વારા બનાવવામાં આવેલા સોગંદનામાને કોર્ટમાં રજૂ ન કરવા બાબતે વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી.
આક્ષેપ છે કે મુસ્તાક ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગ્યો હતો અને ઘર અંદરથી લાકડાનો ધોકો લઈને બહાર આવ્યો હતો. દરમિયાન યાકુબભાઈની બહેન રોશનબેન પણ ત્યાં આવી પહોંચતા બંનેએ મળીને ઝપાઝપી શરૂ કરી હતી. ફરિયાદ અનુસાર રોશનબેને યાકુબભાઈને પકડી રાખ્યા હતા અને મુસ્તાકે તેમના વાંસાના ભાગે લાકડાના ધોકાનો ઘા મારી શરીરે આડેધડ માર માર્યો હતો.
બનાવ દરમિયાન બૂમાબૂમ થતાં યાકુબભાઈની પત્ની હલીમાબેન તથા બહેન કુલસમબેન બહાર આવી ગયા હતા. તેમને બચાવવા જતા આરોપીઓએ તેમની સાથે પણ ગાળો બોલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આસપાસના લોકો દોડી આવતા મામલો શાંત પડ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે જતા જતા મુસ્તાકે “સોગંદનામું કોર્ટમાં રજૂ કરશો તો અહીં રહેવા નહીં દઈએ અને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ઇજા થતા યાકુબભાઈએ જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ ફરિયાદ અનુસાર બેડ ગામે આવેલી આશરે 25 વિઘા સંયુક્ત જમીનને લઈને પરિવારજનો વચ્ચે ચીફ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમાં કુલસમબેને યાકુબભાઈના પક્ષમાં સોગંદનામું આપ્યું હોવાથી ખાર રાખી હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


