Gujarat

કૉલેજોમાં નેટવર્કના ઠેકાણા નથી, વિદ્યાર્થી પરિષદે કુલપતિની કચેરીનો ઘેરાવ કર્યો

By GS Team
27 Nov 20211 min read
This article was originally published on 27 Nov 2021
કૉલેજોમાં નેટવર્કના ઠેકાણા નથી,  વિદ્યાર્થી પરિષદે કુલપતિની કચેરીનો ઘેરાવ કર્યો

- વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ કૉલેજોની લોબી, ગાર્ડનમાં બેસીને આપવી પડીઃ યોગ્ય વ્યવસ્થા ન થાય તો આંદોલનની ચીમકી

      સુરત

નર્મદ યુનિવર્સિટી લાખો રૃપિયાના ખર્ચે સોફટવેર વિકસાવીને અદ્યતન બની રહી છે. પરંતુ કોલેજોમા આજે પણ નેટર્વકના ઠેકાણા નથી. મોક ટેસ્ટમાં મુશ્કેલીઓ આવતા વિદ્યાર્થીઓએ ગાર્ડનમાં, લોબીમાં પરીક્ષા આપી હોવાની ફરિયાદ આજે એબીવીપીએ કરી હતી. અને કુલપતિની ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી ૨૯ મી નવેમ્બરને સોમવારથી કોલેજોમાં ઓનલાઇન પરીક્ષા શરૃ થઇ રહી છે. આ પરીક્ષા પહેલા જે મોક ટેસ્ટ લેવાઇ હતી. તે મોક ટેસ્ટમાં ૫૦ ટકા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હતા. જેને લઇને આજે એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે મોરચો કાઢીને કુલપતિ કિશોરસિંહ ચાવડાને ફરિયાદ કરી હતી કે, કોલેજોમાં નેટર્વકના ઠેકાણા નહીં હોવાથી વિદ્યાર્થીઓએ લોબીમાં, ગાર્ડનમાં બેસીને પરીક્ષા આપવી પડી હતી.

કેટલાક વિદ્યાર્થીઓ તો પરીક્ષા આપી જ શક્યા ના હતા. આથી સોમવારથી શરૃ થતી પરીક્ષામાં કોલેજોમાં નેટવર્કના પ્રશ્ન હલ કરાવો. કયાં તો વિદ્યાર્થીઓને ઘરે બેસીને પરીક્ષા આપવા દો. કયાં તો ઓએમઆર આપીને પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરો. તેમ ન થાય તો આંદોલનની ચીમકી અપાઇ હતી.