Chhota Udepur Water Crisis: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના રણબોર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ જળસંકટ ઘેરૂ બન્યું છે. સરકાર દ્વારા નલ સે જલ અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાના દાવાઓ વચ્ચે રણબોર ગામના લોકો ટીપું પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરવા આજે ગ્રામજનોએ અધૂરી પાણીની ટાંકી પાસે ઢોલ-નગારા વગાડી અનોખો દેખાવો કર્યો હતો.
50 બોર હોવા છતાં ગ્રામજનો તરસ્યા
મળતી માહિતી અનુસાર, અંદાજે 600ની વસ્તી ધરાવતા રણબોર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અલગ-અલગ ફળિયાઓમાં મળીને કુલ 50 જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા છે. જો કે, ઉનાળો બેસતાની સાથે જ ભૂગર્ભ જળસ્તર નીચે ઉતરી જતાં તમામ બોર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ગામમાં ઘરે-ઘરે નળ અને પાઈપલાઈન તો નાખી દેવામાં આવી છે, પરંતુ તેમાં પાણીના બદલે માત્ર હવા નીકળી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: તૈયાર ખીરાના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર
2 વર્ષથી ટાંકીનું કામ અધૂરું
ગ્રામજનોના જણાવ્યાનુસાર, કુપ્પા પાણીપુરવઠા યોજના અંતર્ગત ગામમાં ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીની ટાંકી બનાવવાનું આયોજન કરાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી આ ટાંકીની કામગીરી અધૂરી હાલતમાં પડી છે. ગામથી માત્ર બે કિલોમીટરના અંતરે 7 લાખ લીટરની ક્ષમતાનો પાણીનો સંપ આવેલો હોવા છતાં, અધિકારીઓની ઉદાસીનતાને કારણે આ પાણી રણબોર સુધી પહોંચી શક્યું નથી.
કાગળ પર પાણી પહોંચ્યું!
તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સરકારી દફતરે કદાચ પાણી પહોંચી ગયું હોવાનું દર્શાવાયું હશે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન અલગ છે. તંત્રના બહેરા કાને રજૂઆત પહોંચાડવા માટે આજે આદિવાસી સમાજના લોકોએ ઢોલ-નગારા સાથે દેખાવો કર્યો હતો. આદિવાસી વિસ્તારના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના સરકારી દાવાઓનો આ ગામ એક વરવો નમૂનો પૂરો પાડે છે.
રણબોરના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં અધૂરી ટાંકીનું કામ પૂર્ણ કરી શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે. હાલમાં ગામની મહિલાઓને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી ભટકવાની નોબત આવી છે, જે વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે.


