Get The App

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા હોબાળો

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા હોબાળો 1 - image


Ahmedabad News: 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)ની કામગીરી સામે હજુય આંગળી ચિંધાઇ રહી છે. ગુજરાતમાં પણ બંગાળવાળી થાય તેવી શક્યતા છે. કેમ કે, યેનકેન પ્રકારે મતદારોના નામ રદ કરવાની પેરવી ચાલી રહી છે. અમદાવાદમાં  ચંડોળા તળાવની આસપાસ દબાણ હટાવાતાં ઘણાં પરિવારો બેઘર બન્યાં છે ત્યારે તેમનો મતાધિકાર છિનવવવા પ્રયાસ થઇ રહ્યાં છે. દાણીલીમડા મત વિસ્તારમાં જ ભાજપના બે કાર્યકરોએ 634 ફોર્મ-7 ભરીને મતદારોના નામ રદ કરવા ભલામણ કરી છે જેના પગલે વિવાદ સર્જાયો છે. 

આ કાર્યકરોઓ ફોર્મ-7 ભર્યાં

ચંડોળા તળાવની આજુબાજુ દબાણો હટાવી લેવાયાં છે પરિણામે ઘણાં પરિવારો બેઘર બન્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારે ખાતરી આપી હોવા છતાંય હજુ સુધી આવાસ ફાળવવાના ઠેકાણાં નથી. આ સંજોગોમાં આ બેઘર પરિવારો પાસે પુરતા પુરાવા નથી જે તકનો લાભ ઉઠાવાઇ રહ્યો છે. 

ભાજપના કાર્યકરો હવે ફોર્મ-7 ભરીને મતદારોના નામ રદ કરવા મેદાને પડ્યાં છે. એવું જાણવા મળ્યુ છેકે, દાણીલીમડા વિસ્તારમાં બુથ નં-193માં વિહાર સિંગલ નામના કાર્યકરે 396 ફોર્મ-7 ભરી વાંધો લીધો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં બુથ-194માં જશવંત વાઘેલા નામના કાર્યકરે 238 ફોર્મ-7 ભર્યાં છે. વાંધા લેનારે પુરાવા રજૂ કરવા પડે. એટલુ જ નહીં, ખોટા વાંધા લેનારાં સામે પોલીસ ફરિયાદ થઇ શકે છે. આ ઉપરાંત એક લાખનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત

‘મતદારયાદીમાં નામ રદ થાય તો મને વાંધો નથી’

આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો મતદારોની જાણ બહાર નામ રદ કરાશે, કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. આ તરફ, જમાલપુર વિસ્તારમાં બીએલઓને સૂચના અપાઇ છે જેના પગલે એવી લેખિત ખાતરી લેવાઇ રહી છેકે, પુરાવા રજૂ નહીં કરીએ તો, મતદારયાદીમાંથી નામ રદ થાય તો વાંધો નથી. નિયમ સામે ચૂંટણીલક્ષી કામગીરી થઇ રહી છે જેના કારણે સોમવારે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ આ મામલે રજૂઆત કરવામાં આવશે.