Get The App

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી 1 - image

- તસ્કરોનો આતંક : પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ

- અનાજ-કરિયાણાની દુકાન સહિતની દુકાનોને ટાર્ગેટ બનાવી, પોલીસે સીસીટીવી આધારે તપાસ આદરી

નડિયાદ : મહેમદાવાદ શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કરોએ રવિવારે રાત્રે એકથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ૧૪ દુકાનોના તાળાં તોડી રોકડ રકમ ચોરી ગયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અનાજ, કરિયાણાની દુકાનના વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા લલીતકુમાર ખેમચંદ નાનકવાણીની મહેમદાવાદ માર્કેટ યાર્ડમાં ધનલક્ષ્મી ટ્રેડીંગ નામની અનાજ-કરીયાણા અને તેલની દુકાન આવેલી છે. ગત તા.૦૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેઓ નીત્યક્રમ મુજબ સાંજના સાડા સાતેક વાગે દુકાન બંધ કરી ઘરે જઇ જમી પરવારી સુઇ ગયા હતા. સોમવારે વહેલી સવારે તેમના ભત્રીજા અશોકકુમાર હાલુમલ નાનાકવાણીએ ફોન કરીને જણાવેલું કે, આપણી દુકાનના તાળાં તૂટયાં છે, દુકાનમાં ચોરી થયેલી છે. જેથી લલિત કુમાર તુરંત જ દુકાને જતા તેમની દુકાનના શટરના બંને સાઇડના તાળાં તોડી શટર ઉંચું કરેલું હતું. દુકાનમાં તપાસ કરતા દુકાનમાં ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડ રૂ.૧,૮૭,૦૦૦ તસ્કરો ચોરી ગયા હોવાનું જણાય આવ્યું હતું. આ દુકાન ઉપરાંત અન્ય ૧૩ જેટલી દુકાનોના તાળાં તુટેલા હતા. દુકાનના સી.સી.ટી.વી. જોતા રાત્રિના એકથી ત્રણ વાગ્યાના સમય દરમિયાનમાં તસ્કરોએ ત્રાટકી દુકાનોના તાળાં તોડી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. 

તસ્કરોએ નીલેશભાઈ મધુસુદન શાહની દુકાન નંબર ૮નું શટર ઉંચુ કરી તિજોરી માંથી રોકડ રકમની ચોરી કરી હતી. ભરતભાઇ ગુણવંતભાઇ ઠક્કરની ગાયત્રી કીરાણા સ્ટોર દુકાન નંબર ૩ નું શટર ઉચુ કરી દુકાનમાંથી ગોદરેજ કંપનીનુ સફેદ કલરનું લોકર ચોરી ગયા હતા, તેની બાજુમાં આવેલ શાહ જેઠાલાલ ગીરધરદાસ શાહની દુકાન નંબર ૪ ના શટરના તાળા તોડી બે લોખંડની તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી, રોનકભાઈ ઇબ્રાહીમભાઈ વ્હોરાની કિસ્મત કિરાણા સ્ટોરનું શટર ઉંચુ કરી દુકાનના ટેબલના ડ્રોવરમાંથી રોકડ રૂપિયાની ચોરી, એસ.બી.આઈ. બેંકની બાજુમાં આવેલ ડાલુમલ ખેમચંદ નાનકવાણીની શીવ શકિતી ટ્રેડર્સનું એક સાઇડથી શટર ઉંચુ કરી ચોરી કરેલ છે તથા બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા અવીનાશભાઇ વિનોદરાય અજવાળીયાની ખોડીયાર ટ્રેડર્સ દુકાનના શટરના તાળા પણ તોડેલા છે. તેમજ ખોડીયાર ટ્રેડર્ર્સની બાજુમાં આવેલા ડૉક્ટર અશ્વીનભાઈ પટેલના શ્રદ્ધા ક્લિનીકનું શટર ઉંચુ કરી ટેબલના ડ્રોવરમાંથી રોકડની ચોરી, ચારભુજા રેસ્ટોરંટના શટ૨નું તાળુ તોડી ડ્રોવરમાંથી પરચુરણ રૂપિયાની ચોરી, મંગલદીપ ટ્રેડર્સના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી,મોર્ડન સોડાની દુકાનના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે લલિત કુમાર ખેમચંદ નાનકવાણીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનાં નોધી સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.