જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો પાસેથી લાખો રૂપિયા હડપ કરનાર ગેંગ સામે પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથક ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4) તથા 54 હેઠળ નોંધાયો છે.
ફરિયાદ મુજબ આરોપી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર (રહે-કેદાર પાર્ક, ઢીચડા રોડ, જામનગર) તેમજ નિઝામ યુસુફભાઈ સમા અને રીજવાનાબેન હમીરભાઈ સોરાએ મળીને ફરીયાદી પોરબંદરની એક મહિલા ઇલાબેન ગલાભાઈ જાડેજા અને અન્ય લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી હતી. આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને અન્ય સાક્ષી પાસેથી રૂપિયા બે લાખ વીસ હજાર મેળવી કુલ રૂપિયા છ લાખ સિત્તેર હજારની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
ફરિયાદી ઇલાબેન ગલાભાઈ જાડેજા (ઉંમર ચાલીસ વર્ષ, મૂળ પોરબંદર જિલ્લાની) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ પાસપોર્ટ મેળવી લીધા બાદ પણ કોઈને વિદેશ મોકલ્યા નહીં અને રૂપિયા પરત આપ્યા વગર વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓની સંડોવણી અને અન્ય સંભવિત પીડિતોની દિશામાં પણ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણના મુખ્ય આરોપી રાજેન્દ્ર રાજગોર, કે જેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ દિવસ પહેલા આવો જ એક ગુનો નોંધાયો છે. જેમાં ખંભાળિયા સહિતના યુવાનો ફસાયા હતા જે ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.









