Get The App

અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ 1 - image

ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

પીએમ નોટ આવ્યા બાદ મૃતકના પત્નિની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ

ભાવનગર: અધેવાડાની સીમમાંથી ગત ગુરૂવારના રોજ આધેડનો મૃતદેહ મળી આવવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. આધેડનું માથાના ભાગે ગંભીર ઈજાના લીધે હેમરેજ થયું હોવાથી મોત થયું હોવાનું પીએમ નોટમાં આવતા આ મામલે ભરતનગર પોલીસ મથકમાં મૃતકના પત્નિએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર શહેરની નજીક આવેલા અધેવાડા ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતા મથુરભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.૪૧) ગત બુધવારે સવારે વાડીએ ગયા બાદ બપોરે જમવા નહી આવતા પરિવારજનોએ લાંબી શોધખોળ હાથ ધરી હતી પરંતુ આખો દિવસ તેમની કોઈ ભાળ મળી નહોતી. જે બાદ બીજા દિવસે ગુરૂવારે અધેવાડા શિવ અમૃત સોસાયટીની ખુલ્લી અવાવરું જગ્યામાં બાવળની કાટમાંથી માથાના ભાગે ગંભીર ઈજા સાથે શંકાસ્પદ હાલતે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભરતનગર પોલીસે તેમના મૃતદેહને પીએમઅર્થે મોકલી શંકાસ્પદ અકસ્માતે મોતની નોંધ કરી હતી. જે બાદ આજરોજ મૃતકની પીએમ નોટ આવી હતી. જેમાં મથુરભાઈનું મોત માથાના ભાગે બળથી કોઈએ મારતા હેમરેજના કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. આ મામલે મૃતકના પત્નિ ખાટુબેન મથુરભાઈ પરમારે ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોઈ અજાણ્યા શખ્સે તેમના પતિનું કોઈપણ સમયે અગમ્ય કારણસર બળથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કેસની તપાસ માટે બે ટીમો બનાવવામાં આવી છે : પીઆઈ

આ મામલે ભરતનગર પીઆઈ કુરેશીએ જણાવ્યું હતું કે, હત્યાના આ કેસની તપાસ માટે સ્થાનિક પોલીસની એક અને એલસીબીની એક એમ કુલ બે ટીમો બનાવવામાં આવી છે. શકમંદોના નિવેદન લેવામાં આવી રહ્યાં છે અને સીસીટીવીના આધારે પણ તપાસ ચાલી રહી છે.