વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં બાળકો અને કિશોરોને કૃમિનાશક દવા આપવાનું અભિયાન શરૂ

- પ્રથમ દિવસે જ 218965 બાળકો અને કિશોરોને કૃમિનાશક દવા અપાઈ
વડોદરા, તા. 12
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 1થી 19 વર્ષની વય જૂથના 353443 બાળકો અને ટીનેજર્સને કૃમિનાશક દવા ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પહેલા દિવસે 218965ને દવા આપવામાં આવી હતી.પ્રથમ દિવસે જ 62 ટકાને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ કૃમિનાશક દવા અભિયાન હેઠળ તારીખ 17મી સુધી 1 થી 19 વર્ષ ના શાળાએ જતા અને ન જતા બાળકો અને કિશોરોને દવા આપવામાં આવશે.કૃમિ નાશક દવા વર્ષ માં 2 વખત ચાવીને ખાવાથી આંત્રકૃમિનો નાશ થાય છે ,જેથી પાંડુરોગને પણ નિવારી શકાય છે, તેથી માતા પિતાને કાળજી લઈ આ કૃમિનાશક દવાનું સેવન કરાવવા જણાવાયું છે. પહેલા દિવસે 1થી 5 વર્ષના 61302 બાળકો, 5થી 10વર્ષના 63438 બાળકો તેમજ 10 થી 19 વર્ષના 8316૩ કિશોરો અને શાળાએ ન જતાં હોય તેવા 5 થી 19 વર્ષના 11062 બાળકો તથા કિશોરોને દવા ખવડાવવામાં આવી હતી. જિલ્લાના તાલુકાઓ પૈકી પહેલા દિવસે સૌથી વધુ 86 ટકા કામગીરી શિનોર તાલુકામાં અને સૌથી ઓછી ૩૩ ટકા કરજણ તાલુકામાં થઈ હતી.જ્યારે અન્યતાલુકાઓમાં 54થી 78 ટકા કામગીરી થઈ શકી હતી.




