Gujarat

સી.એે. પાસ યુવતીનું સંયમના પંથે પ્રયાણ, દીક્ષા ગ્રહણ કરશે

By GS Team
15 Feb 20221 min read
This article was originally published on 15 Feb 2022
સી.એે. પાસ યુવતીનું સંયમના પંથે પ્રયાણ, દીક્ષા ગ્રહણ કરશે

- 17 મીથી પાલિતાણામાં 3 દિવસ ભાવભક્તિ કાર્યક્રમનું આયોજન

- મહુવાની ખુશીના દીક્ષા ગ્રહણ દરમિયાન દીક્ષાવિધી, સામૈયુ, અભિષેક, મહાઆરતી, બેઠું વર્ષીદાન, વિદાય સમારંભ  સહિતના કાર્યક્રમો યોજાશે

ઘોઘા : મહુવામાં રહેતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધી અભ્યાસ કરેલી યુવતી ભગવાનને જીવન સમર્પીત કરવા માટે સંયમના પંથે પ્રયાણ કરવા જઈ રહી છે. જે નિમિત્તે આગામી ૧૭મીએ જૈન તિર્થનગરી પાલિતાણામાં ત્રણ દિવસ સુધી ભાવભક્તિ સાથે દીક્ષાગ્રહણ કાર્યક્રમનો કાર્યક્રમ યોજાશે.

મહુવામાં રહેતા જલ્પાબેન હરેન્દ્રભાઈ દોશીની ૨૧ વર્ષીય પુત્રી ખુશીને સંયમના માર્ગે જવાના કોડ જાગતા તેણે દીક્ષા લેવાનો અડગ નિર્ણય કર્યો છે. જેથી સી.એ.નો ઉચ્ચ અભ્યાસ કરનાર ખુશીનો તા.૧૭મીથી ત્રિદિવસીય દીક્ષા ગ્રહણનો કાર્યક્રમ પાલિતાણામાં શાસન સમ્રાઠ સંયમ વાટીકા ૧૦૮ સમવસરણ મંદિર અને ચેન્નઈ ધર્મશાળા ખાતે આચાર્ય શાસન સમ્રામટ નેમિસૂરી સમુદાયના વિશાળ સુરી ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ત્રણ દિવસના આ ધાર્મિક અને દિક્ષાવિધિના કાર્યક્રમ અંતર્ગત તા.૧૭-૨ને ગુરવારે સવારે ૬-૪૫ કલાકે સાધુ ભગવંતોનું સામૈયું, સવારે ૯-૩૦ કલાકે પ્રભુને અભિષેક, બપોરે ૨-૩૦ કલાકે જાતને રંગી રંગુજગને શાસન સેવાકાજે, રાત્રે ૮-૩૦ કલાકે ગિરિરાજની તળેટીએ મહાઆરતી તા.૧૮-૨ને શુક્રવારે સવારે ૬-૩૦ કલાકે પ્રભુમિલન, સવારે ૯ કલાકે બેઠું વર્ષીદાન, સાંજે ૭-૩૦ કલાકે અભયદાનની ઉદ્ઘોષણાના ઓવારણા વિદાય સમારંભ, તા.૧૯-૨ને શનિવારે સવારે શુભમુહૂર્તમાં પ્રવ્રજયાગ્રહણ વિધિનો પ્રારંભ થશે. ત્રણેય દિવસ યોજાનાર કાર્યક્રમ શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાનાર છે.