Gujarat

આજવા રોડ ઉપર વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

By GS Team
21 Mar 20221 min read
This article was originally published on 21 Mar 2022
આજવા રોડ ઉપર વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

વડોદરા, તા. 21 માર્ચ 

વડોદરામાં પાણીનો કકળાટ નિવારવા તંત્ર કામે લાગ્યું છે. અને ફરિયાદરૂમ શરૂ કરી તાત્કાલિક પાણીની લાઈન રિપેર કરવા સાથે  ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા અધિકારીઓને સુચના અપાઇ છે. તેવામાં છેલ્લા પાંચ દિવસથી આજવા રોડ ઉપર પાણીની લાઇન લીકેજ થવાના પગલે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે.

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓ ઘટી રહી છે. ઉનાળામાં પાણી બચાવવાની ગુલબાંગો પોકારતું તંત્ર છેલ્લા પાંચ દિવસથી લિકેઝ પાણીની લાઈનનું સમારકામ કરી શકી નથી. શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વગડામાં વિકાસ કરી શાંઘાઈના સપના જોતા શાસકો માનવ વસ્તીમાં પૂરતી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડયા છે. તેના પુરાવા દિનપ્રતિદિન પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકા કચેરી પહોંચતા મોરચા છે. છેલ્લા પાંચ દિવસથી આજવા રોડ ઉપર આવેલા બાબા ઈબ્રાહીમ આઈટીઆઈ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. પરંતુ તંત્ર સમારકામમાં વિલંબ કરતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 કલાકનો પાણીના મુદ્દે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં અધિકારીઓને પણ 24 કલાક ખડે પગે કામ કરવાની તાકીદ કરી છે. કંટ્રોલરૂમમાં આવતી ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા ડેપ્યુટી કમિશનરથી માંડી એન્જિનિયરોની રોજેરોજ બેઠક યોજવાની પણ કમિશનરે સૂચના આપેલી છે તે આધારે રજાના દિવસે પણ ગઈકાલે અધિકારીઓએ બેઠક યોજી હતી.