Gujarat

છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ: નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા

By GS TEAM
1 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નકલી કચેરી, નકલી પોલીસ અને નકલી ટોલનાકા બાદ હવે નકલી વેરા પાવતીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મકાન માલિકોએ પાલિકાના નામની બોગસ વેરા પાવતીઓ રજૂ કરી વીજ કનેક્શન મેળવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ: નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા

Chhota Udepur Fake Receipt Scam: ગુજરાતમાં નકલી કચેરી, નકલી પોલીસ અને નકલી ટોલનાકા બાદ હવે નકલી વેરા પાવતીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મકાન માલિકોએ પાલિકાના નામની બોગસ વેરા પાવતીઓ રજૂ કરી વીજ કનેક્શન મેળવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

જાગૃત નાગરિકની રજૂઆતથી પર્દાફાસ

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે છોટા ઉદેપુરના એક જાગૃત નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, વીજ કનેક્શન મેળવવા માટે પાલિકાની બોગસ પાવતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગંભીર ફરિયાદ બાદ MGVCLના ડેપ્યુટી ઈજનેરે નગરપાલિકાને પત્ર લખીને તપાસ કરવા જાણ કરી હતી.

પાલિકાની તપાસમાં શું બહાર આવ્યું?

નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યાનુસાર, પ્રાથમિક તપાસમાં વોર્ડ નંબર 3માં પાંચ જેટલી પાવતીઓ બોગસ હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના નામે જ આ કૂટ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પૂરતા પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ

તપાસના નામે નાટક? 

જ્યારે પાંચ પાવતીઓ નકલી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થઈ ચૂક્યું છે, ત્યારે પાલિકા દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી તેવા સવાલો ઊઠી રહ્યા છે. સરકારી નાણાંની ચોરી અને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પાલિકા માત્ર તપાસ કરી રહી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કડક કાર્યવાહીની માંગ

સરકારી તંત્રને છેતરીને બોગસ પાવતીના આધારે વીજ કનેક્શન મેળવનાર મકાન માલિકો સામે તાત્કાલિક અસરથી કડક કાયદાકીય પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઊઠી છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ મામલે ક્યારે પોલીસ ફરિયાદ નોંધાવે છે.