Get The App

1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા...છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્ર!

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા...છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્ર! 1 - image


Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ખાતે આવેલી સરદાર સુગર ફેક્ટરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. જે ફેક્ટરી એક સમયે શેરડી પકવતા હજારો ખેડૂતો માટે આશીર્વાદરૂપ હતી, તે આજે તેમના સંઘર્ષ અને લાચારીનું પ્રતીક બની ગઈ છે. છેલ્લા ઘણાં વર્ષોથી પોતાના હક્કના 12 કરોડ રૂપિયા મેળવવા માટે 1800 જેટલા સભાસદ ખેડૂતો અને અનેક કામદારો ફેક્ટરીના દરવાજે દેખાવો કરી રહ્યા છે.

ખુશીઓથી પતન સુધીની સફર

વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ઉમદા હેતુથી આ ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી. જોકે, રાજકીય હસ્તક્ષેપ અને વહીવટી ખામીઓને કારણે ફેક્ટરી દેવામાં ડૂબી ગઈ અને વર્ષ 2008માં તેને તાળાં લાગી ગયા. બેન્કે પોતાના લેણાં વસૂલવા માટે ફેક્ટરીનો કબજો લઈ તેને એક ખાનગી વ્યક્તિને વેચી દીધી હતી. સરકારની શરત હતી કે નવી માલિકી ફેક્ટરી ફરી શરૂ કરશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ નજીક વધુ એક દુર્ઘટના! હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ

ફેક્ટરીની મશીનરીનું વેચાણ

ખેડૂતોનો આક્ષેપ છે કે ફેક્ટરી શરૂ કરવાને બદલે ખાનગી માલિકે જમીન અને કિંમતી મશીનરી વેચવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોએ પીએમ નરેન્દ્ર મોદી સહિત ત્રણ મુખ્યમંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યોને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે.

ખેડૂતો અને કામદારોની પાયમાલી

માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ફેક્ટરીમાં પરસેવો પાડનારા કામદારોના પણ પગાર અને બાકી લેણાં ચૂકવવામાં આવ્યા નથી. ખેડૂતોનું કહેવું છે કે, અમે લોહી-પરસેવો પાડીને શેરડી પકવી હતી. આજે 12 કરોડ રૂપિયા જેવી માતબર રકમ અટવાયેલી છે. જો સરકાર વ્યાજ સહિત અમારા પૈસા નહીં ચૂકવે, તો અમે ઉગ્ર આંદોલન કરવા મજબૂર થઈશું.