2 વર્ષમાં જ ભાવનગર-સોમનાથ હાઈવે પર 'ભ્રષ્ટાચાર'ના ગાબડા, રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajula News : અમરેલી જિલ્લાના રાજુલામાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 2 વર્ષમાં જ 'ભ્રષ્ટાચાર'ના ગાબડા પડ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજુલાના વિકટર પાસે બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો પડતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.
રાજુલામાં બ્રિજ પર 40 મીટર લાંબી તિરાડો
ભાવનગર-સોમનાથ હાઈવે પર 260 કિલોમીટરના આ નેશનલ હાઈવે પર અગાઉ પણ તિરાડો પડી હતી. જ્યારે હાઈવે પરના અમુક ગામોમાં બ્રિજમાંથી સળિયા બહાર આવતા વાહનચાલકો અને સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર સામે હૈયાવરાળો ઠાલવી હતી. આ નેશનલ હાઈવે પરના રાજુલાના વિકટર નજીકના બ્રિજમાં મસમોટી તિરાડો પડી છે.
'ભ્રષ્ટાચાર'ના ગાબડા મામલે ભાજપ નેતાએ તંત્રને કરી રજૂઆત
ભાજપ નેતા અંબરીશ ડેરે જણાવ્યું કે, રાજુલાના વિકટર નજીકનો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેના બ્રિજ પર અંદાજે 40થી 50 મીટરમાં 5થી 6 ઇંચ જેટલી પહોળી તિરાડો પડતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બ્રિજનું બે વર્ષ પહેલા લોકાર્પણ કરાયું હતું.
અગાઉ પણ આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સરકારમાં રજૂઆતો કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે ફરીથી બ્રિજ પર મસમોટી તિરાડો પડતાં રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી આવે તેવી સ્થાનિકોએ રજૂઆત કરી છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, અગાઉ જાફરાબાદના દુધાળા ગામ નજીક બ્રિજ ખુલ્લો મૂકાયા બાદ થોડા દિવસોમાં જ બ્રિજ નોખો પડી ગયો હતો. જ્યારે થોડા મહિના પહેલા રાજુલાના હિંડોરણા અને મજાદર ગામ નજીક બ્રિજ પર તિરાડો અને ગાબડા પડવાની ઘટના ઘટી હતી.









