Gujarat

ગુલાબ આપતા પહેલા પુલવામાના શહીદો માટે એક દીવો પ્રગટાવીશું

By GS Team
13 Feb 20222 mins read
This article was originally published on 13 Feb 2022
ગુલાબ આપતા પહેલા પુલવામાના શહીદો માટે એક દીવો પ્રગટાવીશું

-કેટલાક સાદાઇથી તો કેટલાક વેલેન્ટાઇન ડે મનાવશે જ નહીં

સુરત

વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે ૧૪મી ફેબુ્રઆરી એટલે પ્રેમનો દિવસ, પણ ભારતમાં વર્ષ ૨૦૧૯માં પુલવામા એટેક બાદ આ દિવસ બ્લેક ડે તરીકે મનાવાય છે. બીજી રીતે ભારતીય જવાનોના બલિદાનનો દિવસ. છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં વેલેન્ટાઇનની ઉજવણીમાં ચોક્કસ ઝાંખપ આવી છે. યુવાહૈયાઓ માટે વેલેન્ટાઇન મહત્વનો હોવાથી દિલની વાત પ્રસ્તુત કરવા તેઓ પસંદગીના પાત્રને ગુલાબ તો આપશે પણ એ પહેલા શહીદો માટે એક દીવો પણ પ્રગટાવશે.

સોશિયલ મિડીયામાં હાલ થોડા મેસેજ અને વીડિયો વાયરલ થયા છે. જેમાં ૧૪મી ફેબુ્રઆરીએ પુલવામા હુમલાની યાદ અપાવાય રહી છે. અને વેલેન્ટાઇન મનાવવાની જગ્યાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાત થઇ રહી છે. ઘણા યંગસ્ટર્સને યાદ પણ નથી કે પુલવામા જેવી કોઇ ઘટના બની હતી. પશ્ચિમી સંસ્કૃતિનું આટલું અતિક્રમણ પણ સારૃ નહી. ત્યારે ઘણા યુવાનો અને યુવતીઓ એવી પણ છે કે તેઓ વેલેન્ટાઇન તો મનાવશે પણ પુલવામા ભૂલ્યા વિના. અડાજણની રૃપલે કહ્યુ કે, અમે વેલેન્ટાઇન મનાવવા માટે એક હોટેલમાં કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કર્યું છે. ટેબલ પર પહેલી કેન્ડલ શહીદોના નામની પ્રગટાવીને બાદમાં ભોજન કરીશું. વરાછાના કેયુર પટેલે કહ્યું કે, ૨૦૧૯માં જ હું જેને પસંદ કરતો હતો તેને પ્રપોઝ કરવાનું પ્લાન હતુ પણ પુલવામા ઘટના બાદ એ ્પ્લાન કેન્સલ કર્યો હતો અને વસંતઋતુમાં મઘમઘતા જંગલ વિસ્તારમાં મેં એને પ્રપોઝ કર્યુ હતુ. અમારા લગ્નને દોઢ વર્ષ થયુ છે. અમે વેલેન્ટાઇન મનાવતા જ નથી અને મનાવીશું પણ નહી. પ્રેમનો ઉમળકો હોવાથી યંગસ્ટર્સ વેલેન્ટાઇન મનાવા ઉત્સુક છે પણ હવે દેખાડાથી દૂર રહે છે. સિંગણપોરના કેતને કહ્યું કે, ૨૦૧૯ પહેલાના વેલેન્ટાઇન અને પછીના વેલેન્ટાઇનમાં ઘણો તફાવત આવી ગયો છે. અમે સાદી રીતે વેલેન્ટાઇન મનાવીએ છીએ તો અમારા ફ્રેન્ડ સર્કલમાં પણ બધા સાદાઇથી જાણે પ્રેમની રસમ હોય એ રીતે મનાવી લે છે. પ્રેમનો ઉત્સવ મનાવવો એમા ખોટુ પણ મને લાગતુ નથી. શહીદોનું સ્થાન તો દિલમાં છે અને રહેશે જ.