Gujarat

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન!

By GS Team
20 Aug 20252 mins read
This article was originally published on 20 Aug 2025
બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન!

સીએમ અને કલેક્ટરની સૂચના છતાં કાર્યવાહી નહીં!

ઘર આગળ ગટર અને વરસાદી પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ઃ તંત્રની બેદરાકારીથી રહીશોમાં રોષ

બગોદરાબાવળા શહેરમાં ગત ૨૭મી જુલાઇએ ધોધમાર વરસાદ થયો હતો, જેનાં કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદ બંધ થયાને ૩૦થી વધુ દિવસ વીતી ગયા છે પરંતુ, તેમ છતાં હજું પણ બાવળામાં કેટલાક વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તંત્રની બેદરાકારીના કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો છે અને તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.

બગોદરા-બાવળા શહેરમાં ગત ૨૭મી જુલાઇએ ધોધમાર વરસાદ પડયો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં ઉપરવાસનું પાણી આવતા અનેક સોસાયટીને વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટરે પાણી નિકાલની સૂચના પણ આપી હતી. પરંતુ, વરસાદે વિરામ લીધો તેને પણ એક મહિનાથી વધુ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજું પણ બાવળા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં આવેલ બળીયાદેવ વિસ્તાર અને સોસાયટીઓમાં ઘર આગળ ગટર અને વરસાદનું પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવ વધ્યો છે. ઘર પાસે પાણી ભરાઇ રહેતા બાળકો શાળાએ જઇ શકતા નથી. રહીશોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વિસ્તારમાં એમ્બ્યુલન્સ આવી ન શકે તેવી સ્થિતિના કારણે ઇમર્જન્સીના સમયમાં દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એકાદ મહિના બાદ તહેવારો શરૃ થવા જઈ રહ્યા છે ત્યારે તંતો દ્વારા રહીશોના વિસ્તારમાંથી પાણી નિકાલ કરવામાં આવે દવાનો છંટકાવ કરવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે જે તે લોકોનો આરોગ્યમય જળવાઈ રહે અને તહેવારો  ઉજવી શકે તેઓ રહીશો માંગ કરી રહ્યા છે.