Get The App

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ

ઔદ્યોગિક એકમો અને ડમ્પિંગ સાઈટથી ફેલાતી દુર્ગંધથી લોકો પરેશાન

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ 1 - image

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત એક્યુઆઈ મોનિટરિંગ મશીનો છેલ્લા બે મહિનાથી મેન્ટેનન્સના બહાને બંધ હોવાને કારણે હવાની ગુણવત્તા અંગેની ચોક્કસ માહિતી મળી શકતી નથી.

શિયાળાની ઋતુમાં શહેરમાં એક્યુઆઈનું પ્રમાણ સતત ચિંતાજનક સપાટીએ રહેતું હતું. હાલ તાપમાનમાં વધારો થતા શહેરનો એક્યુઆઈ ગ્રીન ઝોનમાં છે. જાંબુવા, બાપોદ, ટ્રાન્સપેક, મંગળ બજાર અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં નિયમિત રીતે હવાની ગુણવત્તા દર્શાવતા આંકડા ઓનલાઈન જાહેર થતા હતા. પરંતુ એક્યુઆઈ મશીનો બંધ થતા કોર્પોરેશનની વેબસાઈટ પરથી હવાની ગુણવત્તાના આંકડા ગાયબ થઈ ગયા છે.

કોર્પોરેશનના અધિકારીઓએ શરૂઆતમાં મેન્ટેનન્સનું કારણ આપીને એક સપ્તાહમાં મશીનો કાર્યરત થશે તેવું જણાવ્યું હતું, પરંતુ બે મહિના વીતી ગયા હોવા છતાં હજુસુધી સિસ્ટમ શરૂ કરાઈ નથી.તો બીજીતરફ કારેલીબાગમાં નવું એક્યુઆઈ સ્ટેશન શરૂ કરાયું છે. જોકે શહેરના વિસ્તૃત વિસ્તાર માટે એક જ સ્ટેશન પૂરતું ન હોવા છતાં કોર્પોરેશને હવે આ એક જ સિસ્ટમ પર નિર્ભર રહેવાનું મન બનાવી લીધું હોય તેવી ચર્ચા છે.

તાજેતરમાં ધારાસભ્ય દ્વારા કલેક્ટરની સંકલન બેઠકમાં નંદેસરી વિસ્તારમાં વધતા પ્રદૂષણ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી. બે દિવસ અગાઉ વાઘોડિયા રોડ પર તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. તદુપરાંત જામ્બુઆ ડમ્પિંગ સાઇટથી ફેલાતી દુર્ગંધને કારણે છેલ્લા બે દિવસથી તરસાલી અને મકરપુરાના કેટલાક વિસ્તારના રહીશો પરેશાન થઈ રહ્યા છે.