Get The App

ઝેરનું મારણ 'ગુજરાતનું' ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશની બીજી એવી સંસ્થા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
ઝેરનું મારણ 'ગુજરાતનું' ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશની બીજી એવી સંસ્થા 1 - image

Anti Venom Vaccine: ગુજરાતીમાં કહેવાય છે કે 'ઝેરનું મારણ ઝેર જ હોય છે', અને આ જ કહેવતને હવે ગુજરાત સરકાર હકીકતમાં બદલવા જઈ રહી છે. રાજ્યમાં સર્પદંશથી થતા મોત અટકાવવા માટે હવે બહારના રાજ્યોની નહીં, પણ ગુજરાતના જ ઝેરી સાપોમાંથી તૈયાર થયેલી રસી દર્દીઓને નવજીવન આપશે, ગુજરાતમાં સર્પદંશની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. 

ઝેરનું મારણ 'ગુજરાતનું' ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશની બીજી એવી સંસ્થા 2 - image

રાજ્ય સરકાર હવે ગુજરાતના જ ઝેરી સાપોના ઝેરમાંથી 'એન્ટિ વેનમ' (સર્પદંશ વિરોધી રસી) તૈયાર કરશે. વલસાડના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) આ દિશામાં સીમાચિહ્નરૂપ કામગીરી કરી રહી છે, જેનાથી આગામી સમયમાં સર્પદંશથી થતા મૃત્યુના દરમાં નોંધપાત્ર ઘટાડો થશે.

કેમ ગુજરાતના સાપનું ઝેર જ છે જરૂરી?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાપનું ઝેર પ્રદેશ પ્રમાણે બદલાતું હોય છે. અત્યાર સુધી અન્ય રાજ્યોના ઝેરમાંથી બનેલી રસી ગુજરાતમાં ઓછી અસરકારક સાબિત થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ધરમપુર ખાતે સંસ્થા સ્થાપવામાં આવી છે. અહીં ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર જેવી 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓ પર સંશોધન થાય છે. ગુજરાતના સાપોના ઝેરમાંથી બનેલી રસી સ્થાનિક દર્દીઓ પર ઝડપી અને સચોટ અસર કરશે.

ઝેરનું મારણ 'ગુજરાતનું' ઝેર: હવે રાજ્યના ઝેરી સાપોમાંથી જ બનશે સર્પદંશ વિરોધી રસી, ધરમપુરની SRI દેશની બીજી એવી સંસ્થા 3 - image

ઝેરની ઈ-હરાજી: ધાર્યા કરતા વધુ ઉંચી કિંમત મળી-

તાજેતરમાં જ આ કેન્દ્ર દ્વારા ઝેરના પાવડરની ઈ-હરાજી કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ ધરાવતા ઉત્પાદકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

સાપની પ્રજાતિ

બેઝ પ્રાઈઝ (પ્રતિ ગ્રામ)

હરાજીમાં મળેલી કિંમત

ઈન્ડિયન કોબ્રા

₹ 40,000

₹ 44,000

સૉ-સ્કેલ્ડ વાયપર

₹ 50,000

₹ 56,500

 ધરમપુર બનશે વર્લ્ડ ક્લાસ રિસર્ચ સેન્ટર

ગુજરાત સરકાર આ સંસ્થાને વિશ્વ કક્ષાની બનાવવા માટે ₹11.68 કરોડનો ખર્ચ કરશે. વલસાડ કલેક્ટર દ્વારા આ માટે 2.25 હેક્ટર જમીન પણ ફાળવી દેવામાં આવી છે. તમિલનાડુ બાદ આ પ્રકારની કામગીરી કરતી આ દેશની બીજી મોટી સંસ્થા બની છે.

WHOની ગાઈડલાઈન મુજબ કામગીરી

સંસ્થાના ઉપાધ્યક્ષ અને જાણીતા સર્જન ડૉ. ડી.સી. પટેલ જેમનો સર્પદંશ સારવારમાં 98% સક્સેસ રેશિયો છે તેમણે જણાવ્યું હતું કે, ''અહીં WHOની માર્ગદર્શિકા મુજબ અત્યંત સુરક્ષિત રીતે ઝેર કાઢવામાં આવે છે. હાલમાં અહીં 460 જેટલા ઝેરી સાપોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.''

મિશન 2030: મૃત્યુઆંક અડધો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્ર સરકારના ‘નેશનલ એક્શન પ્લાન’ હેઠળ વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં 50% ઘટાડો કરવાનું લક્ષ્ય છે. આ દિશામાં ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 1,495 થી વધુ ડૉક્ટરોને ખાસ તાલીમ આપી છે. 300 થી વધુ સ્નેક રેસ્ક્યુઅર્સને સજ્જ કર્યા છે. આ સાથે અંધશ્રદ્ધા દૂર કરવા પંચાયત સ્તરે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

આ પણ વાંચો: મહેસાણામાં જાવેદે હિન્દુ નામ 'રાહુલ' ધારણ કરીને યુવતીને ફસાવી, ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપાયો, દુષ્કર્મની ફરિયાદ

ગુજરાતમાં જ તૈયાર થનારું આ એન્ટિવેનમ માત્ર આરોગ્ય ક્ષેત્રે સ્વનિર્ભરતા જ નહીં, પરંતુ હજારો માનવ જિંદગીઓ બચાવવાનું માધ્યમ બનશે.