ભાજપના ગઢ એવા નાનપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા

- કોટ વિસ્તારમાં વિકાસ ગાડો થયો છે, નાનપુરાના મતની ભીખ માંગવા આવવું નહીં તેવું લખાણ સાથેના બેનરથી રાજકારણ ગરમાયું
પ્રતિનિધિ દ્વારા સુરત મંગળવાર
સુરત ભાજપના ગઢ એવા કોટ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. નાનપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેન લાગતા રાજકારણ ગરમાયું છે. આ પહેલા આવા પ્રકારના બેનર ગોપીપુરા વિસ્તારમાં લાગ્યા હતા તેના કારણે વિવાદ થયો હતો.
સુરત ભાજપ માટે કોટ વિસ્તાર અત્યાર સુધીમાં ભાજપનો ગઢ સાબિત થયો છે. કોટ વિસ્તારમાં રહેતા સુરતીઓ દરેક ચૂંટણીમાં હંમેશા ભાજપની પડખે ઊભા રહ્યા છે. કોટ વિસ્તારમાં ભાજપ સિવાય કોઇ ઉમેદવાર જીતતા નથી. આ પહેલા નાણાવટ શાહપુરમાં કોંગ્રેસની જીત થઇ હતી પરંતુ નવા વોર્ડ સિમાંકન બાદ પાલિકાની ચૂંટણીમાં થી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે. કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ઉભા થઇ રહ્યા છે. આ સમર્થકો બીજા કોઈ નહીં પરંતુ ભાજપથી નારાજ થયેલા કાર્યકરો અને સમર્થકો છે. થોડા સમય પહેલાં ગોપીપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગતા વિવાદ થયો હતો.
હાલમાં નાનપુરા માછીવાડ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. જેમાં વોર્ડના નગરસેવકો ભ્રષ્ટાચાર કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે. વોર્ડ નંબર 21ના નગરસેવકો માત્ર નવા બાંધકામ ની જાણકારી રાખે છે અને તેમના માણસો ઢોલ બાજે કરે છે તેવો ગંભીર આક્ષેપ આ બેનરમાં કરાયો છે.
આ બેનરમાં એવું પણ લખાયું છે કે નાનપુરા માછીવાર વિસ્તારમાં વોટની ભીખ માંગવા આવવું નહીં આ વિસ્તારમાં વિકાસ ઝીરો છે અને ગાડો થયો છે. કોટ વિસ્તારમાં વિકાસના નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે તેવું પણ લખાયું છે. ભાજપના ગઢ એવા વિસ્તારમાં આ પ્રકારના બેનરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો છે.




