અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામે રાજકીય ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સિકોતર માતાના મંદિરની દીવાલ તોડી પાડવાના મુદ્દે ભભૂકેલા રોષ વચ્ચે ઠાકોર સમાજ દ્વારા 'જન આક્રોશ સભા' યોજવામાં આવી હતી. આ સભામાં ભાજપને મોટો ઝટકો આપતા ગામના અંદાજે 700 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી આગામી સમયમાં કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
મળતી માહિતી અનુસાર, રામપુર ગામે આવેલા સિકોતર માતાના મંદિરે ઠાકોર સમાજ દ્વારા રક્ષણ માટે દીવાલ બનાવવામાં આવી રહી હતી. સમાજનો આક્ષેપ છે કે, તંત્ર અને ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા આ દીવાલને તોડી પાડવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાતા અને તંત્રની એકપક્ષીય કામગીરી સામે ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જે અંતે સામૂહિક પક્ષ પલટામાં પરિણમ્યો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી
આ આક્રોશ સભામાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી અને વિરેધ પક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા. આ નેતાઓની હાજરીમાં 700 જેટલા ગ્રામજનોએ કેસરિયો મૂકી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
નેતાઓની હુંકાર
સભાને સંબોધતા કોંગ્રેસી નેતાઓએ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. નેતાઓએ જણાવ્યું કે, "અમે તમારી સાથે છીએ, જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ લડત આપશે. સરકારનો હાથો બનીને નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નહીં કે સરકારના ઈશારે સામાન્ય જનતાને ડરાવવાનું.
સ્થાનિક સમીકરણોમાં ફેરફાર
એકસાથે 700 લોકોના પક્ષ પલટાથી ધોળકા પંથકમાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ઠાકોર સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું છે કે, હવે તેઓ કોંગ્રેસની સાથે રહીને અન્યાય સામે અવાજ ઉઠાવશે.









