Get The App

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો 1 - image

Ahmedabad Hatkeshwar Bridge: અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલો ફ્લાયઓવર હાલ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતીક બની ગયો છે. આ બ્રિજને તોડી પાડવાની કામગીરી પૂર્ણ કરવાની અંતિમ મુદત 31મી ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ સમયમર્યાદા વીત્યાને ત્રણ મહિનાથી વધુ સમય થવા છતાં કામ હજુ અધૂરું છે. ખોખરા અને હાટકેશ્વર વેપારી એસોસિયેશન દ્વારા સોમવારે (16મી માર્ચ) તમામ ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખીને સરકાર સામે ઉગ્ર રોષ કરવામાં આવ્યો છે. વેપારીઓનો આરોપ છે કે સરકાર અને કોન્ટ્રાક્ટર વચ્ચેના આંતરિક વિવાદોને કારણે સામાન્ય જનતા અને વેપારીઓનો મરો થઈ રહ્યો છે.

ડેડલાઇન વીતી છતાં કામ અધૂરું

બ્રિજની કામગીરીમાં થઈ રહેલા અસહ્ય વિલંબને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ધૂળ અને રજકણોને નિયંત્રિત કરવા માટે કોઈ બેરિકેટિંગ મુકવામાં આવી નથી કે પાણીના છંટકાવની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સતત ઉડતી ધૂળને કારણે વિસ્તારના લોકો શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત, અધૂરા કામને કારણે સર્જાતા સતત ટ્રાફિક જામથી વાહનચાલકોની હાલાકીમાં પણ મસમોટો વધારો થયો છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

આ પણ વાંચો: વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, 'થ્રેટ ટુ લાઈફ'નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પર હુમલો

વેપારી એસોસિયેશનની ચીમકી

વેપારી એસોસિયેશને એકજૂથ થઈને માગણી કરી છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર હવે જાગે અને તાત્કાલિક ધોરણે બાકી રહેલા બે સ્પાનનું કામ પૂર્ણ કરવામાં આવે. વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચારને કારણે લંબાઈ રહેલી આ કામગીરીનો વહેલી તકે અંત આવવો જોઈએ. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેપારીઓએ સરકારને આ મામલે મધ્યસ્થી કરી વહેલી તકે બ્રિજ ખુલ્લો મુકવા ન્યાયની અપીલ કરી છે.