Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજની કામગીરી માટે ફાળવાતી પૂરેપૂરી ખર્ચ કરવામાં આવતી નથી અને જેના કારણે ટેક્સ ભરવા છતાં લોકોને સુવિધાને સામે હાલાકી જ ભોગવવાનો વારો આવે છે. તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવી, ગટર અને પાણીની લાઈનમાં લીકેજ કે બંને લાઈન મિક્સ થઈ જવી જેવી 1.35 લાખ ફરિયાદ છેલ્લા 16 મહિનામાં સી.સી.આર.એસ. દ્વારા નાગરિકોએ ઓનલાઈન નોંધાવવાની ફરજ પડી છે.
ડ્રેનેજ કામગીરી માટે 480 કરોડ રૂપિયા ફાળવ્યા પછી 249.20 કરોડ જ ખર્ચાયા
વર્ષ 2024-25ના વાર્ષિક બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રેનેજની કામગીરી માટે 480 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. સુધારેલા અંદાજ મુજબ 249.20 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. કોટ વિસ્તાર જ્યાં છે તેવા મધ્ય ઝોનમાં કેપિટલના કામો કરવા માત્ર 95 કરોડ રૂપિયા ફાળવાયા હતા. કુલ 1.88 લાખ ફરિયાદો પૈકી ડ્રેનેજ-ઈજનેર વિભાગની 1.35 લાખ ફરિયાદ તંત્રની નિષ્ફળતા સૂચવે છે. શહેરના કોટ વિસ્તાર અને મધ્યઝોનમાં આવતા છ વોર્ડની છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આ કારણથી આ છ વોર્ડમાં નળ, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ રહીશો સતત વલખાં મારી રહ્યા છે, એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. 6 વોર્ડના લોકોની સૌથી મોટી કમનસીબી એ કે, તેમને અભ્યાસુ કોર્પોરેટર મળતા નથી. જે તંત્રના કાન આમળી પૂછી શકે કે, મધ્ય ઝોનના 50થી વધુ વિસ્તારો માટે ઓરમાયું વર્તન કેમ? અન્ય ઝોનમાં એક ફરિયાદ મળતાંની સાથે તંત્ર દોડતું થઈ જાય છે તો મધ્યઝોનના રહીશોને ક્યા કારણથી અન્યાય થઈ રહ્યો છે.

કોર્પોરેશનના જ છેલ્લા કેટલાક વર્ષના બજેટ ઉપર નજર કરવામાં આવે તો કેપિટલ ખર્ચ એટલે કે વિકાસ કામ માટે વર્ષ-2022-23માં ડ્રેનેજની કામગીરી માટે 159.95 કરોડ રૂપિયાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જેની સામે સુધારેલો અંદાજ 165.30 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો.


