Gujarat

અમદાવાદના રેલ કર્મીનું મુંબઇમાં ટ્રેનની અડફેટે મોત

By GS Team
11 Nov 20212 mins read
This article was originally published on 11 Nov 2021
અમદાવાદના રેલ કર્મીનું મુંબઇમાં ટ્રેનની અડફેટે મોત

અમદાવાદ,તા.11 નવેમ્બર 2021, ગુરૂવાર

પશ્ચિમ રેલવેમાં અમદાવાદ વિભાગની ટ્રેનોમાં ઇલેક્ટ્રીકલ મેઇન્ટેનન્સનું કામ કરતા કર્મચારીનંઅ મુંબઇમાં દાદર યાર્ડમાં ટ્રેનને અડફેટે આવી જતા ગઇકાલે બુધવારે મોત નિપજ્યું હતું. ગુજરાત મેલમાં આ કર્મચારી કામ કરતો હતો. આ કર્મચારી દહેગામ રોડ પર બાયડ પાસેના સાઠંબા ગામનો વતની હતો. પીએમ બાદ તેની લાશને ગુરૂવારે સવારે સ્વજનોને સોંપી દેવાઇ હતી. મૃતદેહને અગ્નિસંસ્કાર માટે વતનમાં લાવવામાં આવનાર છે.

રેલવેની આ કરૂણ દુર્ઘટના અંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સંયુક્ત મંડળ મંત્રી સંજય સૂર્યબલીના જણાવ્યા મુજબ તા.૯ નવેમ્બરની રાત્રે અમદાવાદથી મુંબઇ માટે ઉપડેલી ગુજરાત મેલ ટ્રેનમાં પૂંજાભાઇ.કે.વણકર તેમના બે સાથી કર્મચારી અમરત પરમાર અને મુકેશ પરમાર સાથે ઓન ડયુટી ફરજ બજાવી રહ્યા હતા. અમદાવાદથી રાત્રે ઉપડેલી આ ટ્રેન સવારે મુંબઇ પહોંચી હતી.

મુંબઇમાં પહોંચ્યા બાદ ટ્રેન આખો દિવસ દાદર યાર્ડમા ંપડી રહેતી હોય છે અને રાત્રે મુંબઇથી અમદાવાદ માટે ઉપડતી હોય છે. બુધવારે બપોરે પૂંજાભાઇ  અચાનક  દાદર યાર્ડ પાસે એક ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જ્યાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ખિસ્સામાંથી તેમનું આઇકાર્ડ મળી આવતા તેમની ઓળખ છતી થવા પામી હતી.

બનાવની જાણ થતા મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ દોડી આવ્યા હતા. મૃતકને નાયર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુંબઇ ખાતેના મંડળ મંત્રી પ્રશાંત કનાડેએ આ દુર્ઘટના અંગે અમદાવાદ જાણ કરી હતી. મૃતકના સ્વજનોને જાણ કરાતા તેઓ મુંબઇ દોડી આવ્યા હતા. પીએમ બાદ લાશને સ્વજનોને સોંપી દેવામાં આવી હતી.