Ahmedabad News: શહેરના વ્યસ્ત ગણાતા એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી અંડરપાસ પાસે 2 ફેબ્રુઆરી, સોમવારના રોજ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) માં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ત્રાગડ તરફ જવાના માર્ગ પર શાલીગ્રામ સોસાયટી પાસે આ ઘટના બની હતી. એક્ટિવા અને મોટરસાયકલ વચ્ચે ટક્કર થતાં મોટરસાયકલ સવાર રોડ પર પટકાયા હતા. કમનસીબે તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલા ડમ્પરના પાછળના ટાયર નીચે તેઓ આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર તેમને અંદાજે 100 મીટર સુધી ઢસડી ગયું હતું, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
![]() |
| મૃતક |
અજિતભાઈ નાંદે તરીકે થઈ મૃતકની ઓળખ
મૃતક અધિકારીની ઓળખ અજિતભાઈ નાંદે તરીકે થઈ છે. તેઓ ATSમાં એએસઆઈ તરીકે કાર્યરત હતા, જ્યાં તેઓ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર તરીકેની જવાબદારી સંભાળતા હતા. પ્રાથમિક વિગતો મુજબ, અજિતભાઈ ફરજ પૂરી કરીને નરોડા સ્થિત ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો: બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં
ડમ્પર ચાલકની બેદરકારી નહીં હોવાનું પ્રાથમિક તારણ
ઘટનાની જાણ થતા જ 'L' ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં ડમ્પર ચાલકની સીધી બેદરકારી જણાઈ નથી, પરંતુ બે ટુ-વ્હીલર વચ્ચેની ટક્કરને કારણે આ દુર્ઘટના ઘટી હોય તેમ લાગે છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.



