અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં સગર્ભાનું મોત, બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરસપુર સ્થિત શારદાબેન હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલી 35 વર્ષીય મહિલાનું મોત થતાં ભારે હોબાળો મચી ગયો છે. મૃતક પ્રિયાબેન પટણીના પરિવારજનોએ ડોક્ટરો પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને જવાબદાર તબીબો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી હતી.
'દર્દીના ધબકારા એકાએક વધી જવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા': ડૉક્ટરનો લૂલો બચાવ
મળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારના સંજયનગરમાં રહેતા પ્રિયાબેનની અગાઉ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરંતુ સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે ગઈકાલે બપોરે પ્રસુતિની પીડા શરૂ થતાં તેમને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે, રાત્રિના સમયે અચાનક તેમની તબિયત બગડી હતી અને વહેલી સવારે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. જો કે આ અંગે ફરજ પરના તબીબોએ બચાવ કરતા કહ્યું હતું કે, દર્દીના ધબકારા એકાએક વધી જવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
'ડિલિવરી સમયે મુખ્ય ડોક્ટર હાજર ન હતા': પરિવારજન
પીડિત પરિવારે સૌથી મોટો આક્ષેપ એ કર્યો છે કે, ડિલિવરી સમયે મુખ્ય ડોક્ટર હાજર ન હતા. તેઓ માત્ર ટેલિફોન મારફતે નર્સિંગ સ્ટાફને સૂચનાઓ આપી રહ્યા હતા અને સ્ટાફ દ્વારા જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. આ જ કથિત બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો હોવાનો દાવો થઈ રહ્યો છે. હાલમાં પરિવારે ન્યાયની અપેક્ષા સાથે પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, અને મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખ્યો છે.








