AMC Elections: ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી અદ્રશ્ય થઈ ગયેલા નેતાઓ ચૂંટમી નજીક આવતા ફરી પાછા બહાર નીકળી આવ્યા છે. જનતાની નાની-મોટી અનેક સમસ્યાઓને અવગણીને કે તેની સામે આંખ આડા કાન કરી ACમાં આરામ કરતાં નેતાઓ અને કાર્યકરો હવે ખરા તડકે વચનોની લ્હાણી કરી રહ્યા છે, લાગે છે મતદાનની તારીખ નજીક છે. પણ આ નેતાઓને ક્યાં ખબર છે જ્યારે અધૂરા કામો મત માગવા જાઓ ત્યારે સામે આવીને ઉભા હોય ત્યારે 5 વર્ષમાં કરેલા કર્મ સામે આવે અને ફજેતી પણ થાય, આવું જ બન્યું અમદાવાદના શાહપુરમાં વોર્ડમાં જ્યાં ભાજપના ઉમેદવારો વોટ માગવા એક સોસાયટીમાં પહોંચ્યા તો ત્યાં સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોએ સત્યથી સામનો કરાવ્યો હતો, પણ નકટા બનેલા નેતાઓ સ્થાનિક લોકોની સમસ્યા સાંભળવાના બદલે અને સત્યનો સામનો કરવાને બદલે જય શ્રી રામના નારા લગાવતા ત્યાંથી ચાલ્યા ગયા હતા.
શાહપુર વોર્ડમાં ભારે રાજકીય ગરમાવો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં ઉમેદવારોનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે, ત્યારે શાહપુર વોર્ડમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. શાહપુર દરવાજા પાસે પ્રચાર માટે પહોંચેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને-સામને આવી જતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોતાના વિસ્તારમાં વોટ માંગવા માટે આવેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક લોકોએ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભેગા મળીને વિસ્તારના અધૂરા અને પડતર કામો બતાવીને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
'જય શ્રી રામ'ના નારા સામે 'ભાગ્યા... ભાગ્યા...'
સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને અધૂરા વિકાસ કાર્યો અંગે સવાલોનો મારો ચલાવ્યો હતો, જેના કારણે વાતાવરણ ગરમાયું હતું. જોકે, લોકોના આકરા સવાલોનો જવાબ આપવાના બદલે ભાજપના ઉમેદવારો ત્યાંથી 'જય શ્રી રામ'ના નારા લગાવીને ચાલતી પકડી હતી. ઉમેદવારોને આ રીતે જતા જોઈને સ્થાનિકો અને કોંગ્રેસના ઉમેદવારોએ પાછળથી 'ભાગ્યા... ભાગ્યા...' ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટના સમગ્ર શાહપુર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
બે-ત્રણ લાફા ઝીંકી દીધા!
શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અને નેતાઓની ગેરહાજરીને કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. આ રોષની સૌથી ગંભીર અસર સરસપુરના અશોક મિલની નવી ચાલીમાં જોવા મળી હતી. અહીં ઈન્ડિયા કોલોની વોર્ડની પેનલના સમર્થનમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના 57 વર્ષીય કાર્યકર ધીરજભાઈ રાઠોડ અને અન્ય ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોક્યા હતા. હસમુખ વોરા નામના વ્યક્તિએ 'અમારે ત્યાં પ્રચારમાં આવવાનું નથી' તેમ કહી કાર્યકરો સાથે ઝઘડો કર્યો હતો. મામલો એટલો બિચક્યો કે હસમુખ વોરાએ ધીરજભાઈનો કોલર પકડી તેમને બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા અને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ હિંસક બનાવ અંગે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા હોવાનો સ્થાનિકોનો આરોપ
સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ માત્ર ચૂંટણી વખતે જ મોટા વાયદાઓ કરવા આવે છે, પરંતુ પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી. આવી જ સ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. અનિલ સ્ટાર્ચ મિલ વિસ્તારમાં જ્યારે ભાજપના ઉમેદવારો મત માંગવા પહોંચ્યા, ત્યારે રહીશોએ રોડ, ગટર અને પાણીના પ્રશ્નો મુદ્દે તેમને ઘેરાવો કરી 'ભાજપ હાય-હાય'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિ વણસતી જોઈ ઉમેદવારોએ પ્રચાર અધૂરો છોડીને ભાગવાની ફરજ પડી હતી. હાથીજણમાં પણ મહિલાઓએ ભાજપના ઉમેદવારો સામે હંગામો મચાવ્યો હતો. જ્યારે ભાજપના સમર્થકોએ દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો તો મહિલાઓએ તેમને આકરી ભાષામાં ખરીખોટી સંભળાવી હતી.
આ પણ વાંચો: સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા, પોલીસ બોલાવવી પડી
સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષો સામે પણ ભારે રોષ
માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, પરંતુ અન્ય પક્ષો પણ જનતાના રડારમાં છે. લાંભામાં લોકોએ અપક્ષ ઉમેદવારને ભગાડી મૂક્યા હતા, જ્યારે દરિયાપુર અને શાહપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને મતદારોએ અણીયારા સવાલો કર્યા હતા. મતદાર યાદીમાંથી હજારો નામ કમી થઈ ગયા ત્યારે કોઈ મદદ ન મળી હોવાથી નારાજ થયેલા લોકોએ 'આપ'ના નેતાઓને ખખડાવ્યા હતા. બોડકદેવ, અસારવા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં પણ સ્થાનિક પ્રશ્નોને લઈને વિરોધની જ્વાળા યથાવત છે. અનેક સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગી ગયા છે, જેના કારણે ઉમેદવારો માટે હવે મતદારોનો સામનો કરવો લોઢાના ચણા ચાવવા સમાન બની ગયો છે.


