Ahmedabad Municipal Corporation Renovation: અમદાવાદ મ્યુનિ.ના નવા કોર્પોરેટરો અને હોદ્દેદારો આવતાની સાથે જ પ્રજાના પૈસે તાગડધિન્ના કરવાનું શરૂ કરી દેશે. નવા હોદ્દેદારો માટે નવી કેબિન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી કચેરીના સીઅને બી બ્લોકમાં 10 કરોડનું રીનોવેશન કરવા કવાયત શરૂ કરાઈ છે. સમારકામ ચાલે ત્યાં સુધી પદાધિકારીઓને ક્યાં બેસાડવા? તે અંગે હાલ જગ્યા શોધાઈ રહી છે.
કોન્ફરન્સ હોલ સહિતની તમામ કચેરીઓનું આધુનિકીકરણ
મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં ત્રીજા માળ ઉપર મેયર, ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષનેતા અને દંડકની કચેરી ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જ્યાં નિયમિત રીતે મળે છે તે કોન્ફરન્સ હોલ આવેલો છે. આ તમામ કચેરીઓમાં હાલ નવા એરકન્ડિશનર ફિટ કરવામાં આવી રહ્યા છે. મેયર સહિતના અન્ય પદાધિકારીઓની નિમણૂક થઈ જશે પછી સી-બ્લોકના ત્રીજા માળ તથા ચોથા માળ ઉપર આવેલી વિપક્ષનેતા સહિત વિવિધ કમિટીના ચેરમેન - ડેપ્યુટી ચેરમેન તેમજ કમિટી રૂમનું સમારકામ હાથ ધરવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
મ્યુનિ. કચેરીના બી બ્લોકનું થશે રિસ્ટોરેશન
આ ઉપરાંત મ્યુનિ. કચેરીના પ્રાંગણમાં આવેલા બી બ્લોકનું રિસ્ટોરેશન કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે રૂપિયા દસ કરોડથી વધુના ખર્ચથી હાલમાં હેરિટેજ બિલ્ડિંગમાં રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત
કોંગ્રેસ કાર્યાલયનું વિસ્તૃતિકરણ કરાશે
દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિ. કચેરીના સી-બ્લોકમાં ચોથા માળ ઉપર કોંગ્રેસ પક્ષનું કાર્યાલય આવેલું છે. કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા વધીને 32 થઈ છે. એઆઈઆઈએમઆઈએમ અને અપક્ષના એક પણ કોર્પોરેટર નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અપક્ષ અને એઆઈએમઆઈએમની કેબિનો તોડી કોંગ્રેસના કાર્યાલયનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.


