Get The App

અમદાવાદમાં મોબાઈલ સ્ટોરના મેનેજરે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં મોબાઈલ સ્ટોરના મેનેજરે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો, છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ 1 - image


Ahmedabad Mobile Store Fraud: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ખાનગી ટેલિકોમ કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે કંપની સાથે લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ઇન્ટરનલ ઓડિટમાં નાણાકીય અનિયમિતતાઓ અને સ્ટોકમાંથી કિંમતી મોબાઈલ ગાયબ હોવાનું બહાર આવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઓડિટમાં ભાંડો ફૂટ્યો

ફરિયાદ મુજબ, આરોપી વરુણ ચંદુભાઈ ગજેરા ખાનગી ટેલિકોમમાં સ્ટોર મેનેજર તરીકે કાર્યરત હતો અને રોકડ વ્યવહારો તેમજ વેચાણની જવાબદારી સંભાળતો હતો. ગત 28 જાન્યુઆરીના રોજ કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર દ્વારા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટી ગેરરીતિઓ પકડાઈ હતી.

વેચાણના 4.91 લાખ ખિસ્સામાં મૂકી દીધા

પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝના વેચાણ પેટે મળેલા રૂ.4.91 લાખ નિયમ મુજબ બીજા દિવસે કંપનીના બેંક ખાતામાં જમા કરાવવાના હતા, પરંતુ વરુણે આ રકમ જમા કરાવી નહોતી. આ ઉપરાંત, કંપનીના ઇન્ટરનલ ટ્રાન્સફરના 50,000 રૂપિયા પણ સગેવગે કરવામાં આવ્યા હોવાનું ઓડિટમાં જણાયું હતું.

82 હજારનો પ્રીમિયમ ફોન પણ ગાયબ

માત્ર રોકડ જ નહીં, પણ સ્ટોક વેરિફિકેશન દરમિયાન રૂ.82,900ની કિંમતનો એક સ્માર્ટફોન પણ ગાયબ હતો. રેકોર્ડ પર આ ફોન સ્ટોકમાં હોવાનું બતાવવામાં આવતું હતું, પરંતુ પ્રત્યક્ષ તપાસમાં તે મળ્યો નહોતો. આમ, કુલ મળીને રૂ.6.24 લાખની માતબર રકમ અને માલસામાનની ઉચાપત સામે આવી છે.

આ પણ વાંચો: રાજુલાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ: કુટુંબી ભત્રીજીને ભગાડી જવારા યુવકની હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ

વારંવારની ઉઘરાણી છતાં નાણાં ન આપ્યા

કંપનીના ફાઈનાન્સ પ્રોફેશનલ મુકેશકુમાર મોહનદાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી વરુણ પાસે ઉચાપત કરેલા નાણાં અને ગુમ થયેલા ફોન વિશે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને નાણાં પરત કર્યા ન હતા. આખરે કંપનીએ કાયદેસરના પગલાં ભરી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી ઓડિટર અને અન્ય સ્ટાફના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.