Get The App

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો 1 - image

Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલે પોલીસે યુવતીના પરિવારજનો સાથે મુલાકાત ગોઠવી હતી. જોકે, પ્રેમલગ્નથી નારાજ યુવતીની માતા, ભાઈ અને બહેન સહિતના પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની અંદર તેમજ બહાર દીકરી અને જમાઈ સાથે મારામારી કરી હોબાળો મચાવ્યો હતો અને જાહેર શાંતિનો ભંગ કર્યો હતો. ગુમ થયેલી દીકરી પ્રેમલગ્ન કરીને યુવક સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં જ ઉશ્કેરાયેલા પરિવારજનોએ ત્યાં હંગામો કર્યો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કૃષ્ણનગર ખાતે રહેતા યુવતીના પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, કૃષ્ણનગરમાં રહેતી 26 વર્ષની યુવતી ગત તારીખ 23-05-2026ના રોજ ચમનપુરા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. આથી પરિવારે પોલીસ સ્ટેશનમાં તેણી ગુમ થઈ હોવાની જાણવાજોગ નોંધ કરાવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીએ ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મિર્ઝાપુર ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા.

ગઈકાલે રાત્રે પોલીસે યુવતી અને યુવકને નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, સાથે જ આ લગ્નની જાણ યુવતીના માતા-પિતાને કરીને તેમને પણ ત્યાં તેડાવ્યા હતા. દીકરીના પ્રેમલગ્નથી નારાજ પરિવારે પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ ત્યાં હાજર દીકરી અને જમાઈ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. પોલીસ સ્ટાફે વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં આ ચારેય જણાએ પોલીસ સ્ટેશનની અંદર અને બહાર જાહેર રોડ પર એકબીજા સાથે મારામારી કરી તથા બૂમાબૂમ કરીને આતંક મચાવ્યો હતો. જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરી સુલેહ-શાંતિનો ભંગ કર્યો હતો.