ડિફેન્સ એક્સ્પો : રન-વે ૧૦થી ૧૨ માર્ચ ખૂલ્લો રખાશે

અમદાવાદ,ગુરુવાર
ગાંધીનગર ખાતે
આગામી ૧૦ થી ૧૪ માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સ્પોેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે
આગામી ૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન અમદાવાદના સરદાર
વલ્લભભાઇ પટેલ એરપોર્ટનો રન-વે આખો દિવસ માટે ખૂલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
છે.
અમદાવાદ એરપોર્ટના
રન-વેનું હાલમાં રિકાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે રવિવાર અને જાહેર રજાને
બાદ કરતાં સવારે ૯ થી સાંજે ૬ દરમિયાન રન-વેમાં ફ્લાઇટની અવર-જવર બંધ રાખવામાં આવે
છે. જોકે, ડિફેન્સ એક્સ્પોને પગલે ૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન રિકાર્પેટિંગની કામગીરી નહીં
કરવામાં આવે અને રન-વે ૨૪ કલાક ધમધમતો રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિફેન્સ એક્સ્પો
માટે દેશ-વિદેશના મહાનુભાવોના ૫૦થી વધુ ચાર્ટર્ડ એરક્રાફ્ટ અમદાવાદ ખાતે આવી શકે છે.
મહાનુભાવોને એરપોર્ટથી ગાંધીનગર લઇ જવા માટે લક્ઝુરિયસ કાર તેમજ ૨૫ થી ૫૦ સીટની મિની
બસ સહિત મોટી સંખ્યામાં વાહનો તૈનાત કરાશે. વીવીઆઇપી મૂવમેન્ટને પગલે આગામી ટૂંક દિવસમાં
સીઆઇએસએફ અને ગુજરાત પોલીસના અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર યોજાશે.
ડિફેન્સના સાધનોનેકાર્ગો
દ્વારા લાવવામાં આવશે અને તેને સઘન સુરક્ષા
હેઠળ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઇ જવાશે. ડિફેન્સના હેલિકોપ્ટર માટે ગાંધીનગર ખાતે
ખાસ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સીઆઇએસએફના
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, 'ડિફેન્સ એક્સ્પોનું આયોજન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.
દ્વારા કરાયું છે. ડિફેન્સના કેટલા એરક્રાફ્ટ લેન્ડ થશે સલામતીનું કઇ રીતે આયોજન પાર
પાડવું તેના મુદ્દે એક ઉચ્ચસ્તરીય બેઠક આગામી ટૂંક સમયમાં મળશે. '




